‘ સમાજ ‘ શાસ્ત્ર ..!!!!
‘ હું સમાજ ને પૂછી ને કહું ‘..’ મારો સમાજ મને ના પાડે તો કઈ નહીં ‘..’ સમાજમાં મોઢું શું બતાવશું ? ‘ ..’ સમાજમાં રહેવાનું છે હો આપણે ..’..’ સમાજ આગળ માફી માંગી લઉં ‘..’ સમાજ થી આપણે છીએ .. શું સમજ્યા.??? ‘ આ અને આવા અનેકો ડાયલોગઝ વારંવાર સાંભળતા અને સમય આવ્યે ચીપકાવતા આપણે વિચાર્યું કે સાલું આ ‘ સમાજ ‘ એટલે શું ? આ વળી એવી કઈ બલા છે કે જેના નામે ભયાનક ધિંગાણા.. જેના નામે પળભરમાં જીવન-મરણના સવાલો .. જેના નામે ભલભલી સામાજિક પ્રતિષ્ઠાઑ કે બદનામીઓ .. જેના નામે એક આધાર .. જેના પર એક વિશ્વાસ .. જેના લીધે કઈ કેટલાય સંસાર અને જેના નામે રાજકારણ થી લઈને સમાજકારણ ખેલાતું હોય કે પછી જેની એકતાની ઓથે ભલભલી જાયજ કે નાજાયજ માંગણીઓ અને લાગણીઓ સ્વીકારાતી હોય કે પછી જે સમાજનો આધાર લઈને જાતિવાદ જેવી સમાજને જ હાનિકારક પ્રવૃતિઓ ઊભી થતી હોય એના વિષે કોઈ ભરી મહેફિલમાં કે ભરી સભામાં એમ પૂછે કે ‘ સમાજ ‘ એટલે શું ? ‘..’ કોણ છે આ સમાજ ‘ ? તો એનો જવાબ પણ આપવો જ પડે કે નહીં ..?
હિન્દી ફિલ્મોના ‘ લૉગ કયા કહેંગે ? ‘ જેવા અતિકોમન અને વારંવાર ચીપકાવાતા ડાયલોગમાં છાનેખૂણે એમ જ પૂછે છે કે ‘ આ સમાજ એટલે શું ?’ મનુષ્ય સામાજિક પ્રાણી છે એટલે કે સમાજમાં રહેનારું પ્રાણી છે . સમાજ અને મનુષ્ય બન્ને એક સિક્કાની બે બાજુ છે તો એનો સીધો અર્થ એ થયો કે મનુષ્ય એ સમાજનું એક અંગ છે . હવે તકલીફ એ વાતની છે કે જેનું મનુષ્ય નાનું અંગ છે એ વિશાળ સમાજ એટલે ? આમ તો શું છે કે સમાજની વ્યાખ્યા એવી રીતે થાય કે સમાજ એટલે સમૂહમાં જીવતા માનવીઓનો એક એવો સમૂહ કે જેમના જીવન-મૂલ્યો, પ્રણાલિકાઓ, પરંપરાઓ, સ્થાપિત પ્રથાઓ અને સામાજીક વ્યવહારો એક સમાન છે અને એને અનુરૂપ રહીને આ સમૂહ જીવવાની કોશિશ કરે છે . મતલબ કે સમાજ એટલે એક એવો સમૂહ જેની સામાજિક રીતે જીવવાની ચોક્કસ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે અને એ ઓલમોસ્ટ કંપલસરી છે . જે આ ફૂદડી બોલે તો ટર્મ્સ એન્ડ કન્ડિશનમાંથી બહાર ગયું એ સમાજની બહાર ગયું ગણાય અને અહી સમાજ એટલે બચ્ચનના ડાયલોગને યાદ કરી તો ‘ પરંપરા .. પ્રતિષ્ઠા .. અનુશાશન ‘..!!! જી હા આ ફિલ્મી ડાયલોગ સમાજ એટલે શું ? અથવા તો સમાજમાં રહેનારને શું લાગુ પડે ? ના અઘરા સવાલને કઈક અંશે સહેલો કરી દેતો જવાબ છે ..!!!
સમાજ એટલે એક એવો સમૂહ કે જેના ઓથ નીચે એકબીજા સુરક્ષિત .. સભ્ય અને સંતુષ્ટ મહેસુસ કરે છે . પેલું કહે છે ને કે ‘ ચપટી ધૂળ ની પણ જરૂર પડે ‘ એ ન્યાયે સમાજની બહાર રહેનારને સમાજની જરૂર પડે જ . એનું એક બીજું સબળ કારણ એ છે કે કોઈપણ વ્યક્તિના ચરિત્રનિર્માણ માટે કે પછી એક પ્રકારના ઓથેનટીકેશન માટે સમાજ જરૂરી છે . અહી વાત તમે કેવા ? એમ પૂછનાર સવાલો કરતાં ‘ અમે આ સમાજના ‘ એવી વાતચીતના વધુ સફળ અને સજ્જડ પરિણામોની છે . દરેક જ્ઞાતિનો પોતાનો સમાજ હોય છે. આ સમાજ જ જ્ઞાતિના વિકાસનો વિચાર કરે, અને અમલમાં મૂકે છે. સમાજ જ સામાજિક રિવાજો ઘડે છે. સમાજ નું મહત્વ એટલા માટે પણ છે કે કોઈપણ સામાજિક સમસ્યા કે વ્યક્તિના ઉત્થાન માટેની જરૂરીયાતો કોઈ એકલા હાથે પૂરી કરી શકે નહીં અને આવા વખતે સમાજ જ આ કામ કરી શકે . આ વાતને આપણે સમાજ દ્વારા ચલાવાતા કે બનાવાતા દવાખાનાઓ .. સ્કૂલો.. કોમ્યુનિટી સેન્ટરો કે આજના યુગની તાતી જરૂરીયાતો એવા વેવિશાળ કેન્દ્રોના માધ્યમથી વધુ સારી રીતે સમજી શકીએ છીએ . સમાજ દ્વારા ચલાવાતી આ પ્રવૃતિઓ અંતે તો જે તે સમાજની પ્રગતિ અને બેટરમેન્ટ માટે જ હોય છે અને એનો લાભ લેનાર વ્યક્તિ સમાજના હિસ્સા હોવા બદલ ગર્વ અનુભવે છે જે ગર્વ આગળ ઉપર પેઢી દર પેઢી કોઈપણ સમાજના વિકાસની ગાથાને આગળ વધારતી રહે છે .
જ્યાં સુધી વાત સમાજ પૂરતી અને સમાજની વ્યક્તિઓ પૂરતી મર્યાદીત રહે ત્યાં સુધી આ ‘ સમાજ ‘ સ્વીકાર્ય છે પણ થાય છે શું કે જેમ જેમ સમાજ સંખ્યાની રીતે , સામાજિક અને આર્થિક રીતે મોટો અને મજબૂત થતો જાય છે એમ એમ એની મહત્વાકાંક્ષા પણ વધતી જવાની . સમાજ છે તો એના મોભી પણ હોવાના .. એના કર્તાધરતા પણ હોવાના . જેટલી જ્ઞાતિ મોટી એટલો એનો સમાજ મોટો અને એટલી જ મોટી મહત્વાકાંક્ષા . સમાજ નો એક બીજો અર્થ એકતા પણ છે અને આ એકતા જ કોઈપણ સમાજની મહત્વની મૂડી છે . અંગત મતભેદો કે રાજકીય વિચારધારાઓ કે અરસપરસ ઈર્ષામાં જો એકતા તૂટી તો થઈ રહ્યો સમાજનો વિકાસ ..!!!,જો કે આજકાલ આ એકતાનો રાજકીય ઉપયોગ વધતો જાય છે . નો ડાઉટ કોઈ રાજકીય કે સામાજિક પદ માટેની તાલાવેલી સમાજનું ભલું કરવાની મહેચ્છા હોય શકે પણ થાય છે શું કે સમાજના નામે પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા નીકળેલો સમાજનો આગેવાન મોટાભાગે ગોથું ખાઈ જતો હોય છે . વાત અહી સામાજિક કરતાં રાજકારણની વધુ થઈ રહી છે . આજકાલ ચૂંટણીઓ જ્ઞાતિ આધારિત જ લડાય છે એવામાં જે જ્ઞાતિ વધુ મોટી એનો સમાજ વધુ મોટું અને એ હિસાબે પોલિટીકલી એનું વર્ચસ્વ વધુ . આવું જ કઈક સામાજિક સંબંધો માટે પણ કહી શકાય . આજે જ્યારે સંયુક્ત કુટુંબો તૂટતાં જાય છે .. મેટ્રોસિટીમાં તો બાજુમાં કોણ રહે છે એનો પણ ખ્યાલ નથી હોતો એવા દિવસે દિવસે સ્વકેન્દ્રીત થતાં જતાં સમયમાં સમાજ જ એક એવું પરિબળ છે જે તમને ને મને ખુલાપણું અને ઓળખાંણનું મહત્વ અને મુશ્કેલીમાં સમાજ કેટલો કામ આવી શકે તેનો ખ્યાલ આપી જાય છે .
પહેલા પ્રેરેગ્રાફમાં લખ્યું એનાથી ઊલટું અત્યારે ‘ સમાજ ની મને કાઇ પડી નથી ‘ કે ‘ સમાજ શું કરી લેવાનો ? ‘ જેવુ પણ થતું જાય છે . મોટાભાગે એના કારણોમાં બદલાતી પેઢીઓ સાથે બદલાતી રાજકીય-સામાજિક અને આર્થિક વિચારધારાઓ ગણી શકાય . એ ઉપરાંત પ્રગતિ અને પૈસા પણ આવી મનોદશા માટે જવાબદાર છે . આગળની પેઢીઓએ વિચારીને અને અનુભવોને આધારે ચિતરેલા નિયમોના ચીલાઓ પર નવી પેઢી ચાલવા તૈયાર નથી હોતી એમણે એને કેડી જુદી કરવી હોય છે એને લીધે ઘણા બધા સમાજોમાં સત્તાની અને સમાજ પર પકડની લડાઈ ચાલતી હોય છે એને લીધે નવી પેઢી ધીમે ધીમે સમાજથી દૂર થઈ જાય છે અને ભલે એનું નુકશાન આખા સમાજને થાય છતાં પણ વર્ષોથી ચાલી આવતી રીત-રિવાજો કે નિયમોની કેડી છોડનાર સમાજનું મહત્વ ક્યારેય સમજી નથી શકવાનો એ હકીકત છે . બીજું કે સમાજનો અર્થ સમાજના લોકોની ભલાઈ અને એના ઉત્કર્ષનો છે જ્યારે આજકાલ બીજા સમાજને નીચો દેખાડવાની કે વિરોધ કરવાની ફેશન છે અને એને લીધે સમાજ એ સમાજ ના રહેતા ફરી એકવાર માત્ર જાતિમાં બદલાય જાય છે અને જાણીએ-અજાણ્યે જાતિવાદને જન્મ આપી બેસે છે . ‘ જેના હાથમાં એના મો માં ‘ એ વાત બરાબર પણ એમાં જ્ઞાતિવાદ ભળતા જ એ સમાજ અને બીજા સમાજો વચ્ચે ટકરાવ થવાનો જ . સમાજ ચાહે મોટો હોય કે નાનો .. આર્થિક-સામાજિક-રાજકીય રીતે પહોંચતો હોય કે ના હોય પણ જો એ સમાજ અને સમાજના આગેવાનો એ તાકાતને જ્ઞાતિવાદમાં ફેરવે છે તો પછી એ સમાજ ચાહે ગમે એટલો સક્ષમ કેમ ના હોય પણ બીજા સમાજોની નજરમાં ઉતરી તો જવાનો જ . આમ પણ મનુષ્ય જીવન કોઈ એક સમાજ નહીં પણ જુદા જુદા સમાજો ના સહકાર અને સમન્વયથી ચાલે છે એમાં જો તિરાડો પડે તો સમાજને જ ભોગવવાનું આવે . એટલે કોઈપણ સમાજ માટે સૌથી અગત્યનું અને મોખરાનું કામ એ જ હોવું જોઈએ કે સમાજના લોકોનો વિકાસ થાય , એમનું સામાજિક અને જીવનધોરણ ઊંચું આવે અને ખાસ તો સમાજના નામે જ્ઞાતિવાદ ના ફેલાય કેમકે જ્ઞાતિવાદ એ એક એવું ઝેર છે કે જે ધીમે ધીમે પૂરા સમાજને ભરખી જાય છે . સમાજનું કામ સમાજના ઉત્કર્ષ .. કુરિવાજોને કાઢવા .. વ્યસનોને નાબૂદ કરવા .. સમાજનો શૈક્ષણિક-આર્થિક-શારીરિક વિકાસ જળવાય રહે એના પ્રયત્નો કરવા હોવો જોઈએ અને જો દરેક સમાજ આને પ્રયોરિટીમાં રાખશે તો દેશ આપોઆપ સામાજિક રીતે સમરસ અને સમૃધ્ધ બનવાનો જ . ( akurjt@gmail.com )
- અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ‘ 26 જૂન 22 )