સહાનુભુતિ ની સાથે સપોર્ટ પણ જરૂરી છે ….!!!!!!!
આ વાંચતા હશો ત્યારે એસીડ એટેકનો ભોગ બનેલ લક્ષ્મી અગ્રવાલના જીવન પર બનેલી ફિલ્મ ‘ છપ્પાક ‘ રીલીઝ થઇ ચુકી હશે . ફિલ્મની લીડ હિરોઈન અને લક્ષ્મીનો રોલ પ્લે કરનાર દીપિકા પાદુકોણે ફિલ્મ સિવાયના બીજા જ કારણોસર આ લખાય છે ત્યારે વિવાદમાં છે . ઇવન દેશ આખાની સહાનુભુતિ જીતનાર અને એસીડ એટેક પછીની જિંદગીને બહાદુરીપૂર્વક જીવનાર અને એવા લોકો માટે લડનાર લક્ષ્મીની સ્ટોરીમાં પણ લગ્નવિચ્છેદ , બેકારી , સિંગલ મધર જેવી તકલીફો રહેલી છે . જેએનયુમાં દીપિકાનું જવું અલગ ચર્ચાનો વિષય છે અને આજે આપણે એની નહિ પણ એસીડ એટેકના ભોગ બનેલા લોકોની વાત કરવી છે . ૨૦૦૫મા એસીડ એટેકનો ભોગ બન્યા પછી ખુદ લક્ષ્મીને જ લાગેલું કે બસ હવે જિંદગી સમાપ્ત થઇ ગઈ . પણ હિમ્મત ના હારવાના સંકલ્પ સાથે એણે ખુલ્લેઆમ વેચાતા એસીડ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું , સરકારને કાયદા કડક કરવાની માંગ કરી જેને દેશવ્યાપી સમર્થન પણ મળ્યું અને એના અને બીજા સમર્થકોના પ્રયાસથી કાયદામાં ફેરફાર થયો . પણ કાયદાની બીક છતાં પણ એસીડ એટેકના બનાવો તો બનતા જ આવ્યા છે .
લક્ષ્મી અને એની સ્ટોપ સેલ એસીડ મુવમેન્ટ અને કાયદાકીય લડતો અને દેશવાસીઓના સમર્થનના પ્રતાપે ૨૦૧૩મા કાયદામાં પરિવર્તન કરવામાં આવ્યું એ મુજબ એસીડ વેચનારે લેનાર વિશેની બધી જ માહિતીનું એક રજીસ્ટર રાખવું પડે જેમાં ફોટો આઈડી – ખરીદવાનું કારણ – ક્યાં વપરાશ કરવાના વગેરેની નોંધ લેવી પડે અને આ રજીસ્ટરની મેજીસ્ટ્રેટ તપાસ કરી શકે , ૧૮ વર્ષથી નીચેનાને તેજાબ વેચી શકાય નહિ . જાણીજોઈને કોઈ પર એસીડ નાખવો બિનજામીનપાત્ર ગુનો બનાવ્યો અને ગુનો સાબિત થાય તો ૧૦ વર્ષની જેલ અને રોકડ દંડ પણ ફટકારી શકાય કે જે રકમ એસીડ એટેકનો ભોગ બનેલને મળે . કોઈ પણ રાજ્ય કે કેન્દ્રશાષિત પ્રદેશે તાત્કાલિક ૩ લાખ સુધીની સહાય આપવાની રહે . જો કે એસીડ એટેકનો ભોગ બનેલા આને બહુ નાની રકમ ગણે છે કેમકે એક એસીડ એટેકનો ભોગ બનેલાને નોર્મલ થતા સર્જરી અને સારવારમાં ૪૦ લાખ જેટલો ખર્ચ થાય છે જો કે કાયદા મુજબ તો કોઈ પણ હોસ્પિટલ આવા વિકટીમની મફત સારવાર કરવામાં ના નહિ પાડી શકે અને સારવારને અંતે સર્ટીફીકેટ પણ આપવું પડે કે જેથી એટેકનો ભોગ બનનારને ભવિષ્યમાં બધા જ લાભ મળે . પણ અફસોસ કે કાયદામાં આવા કડક બદલાવ છતાં પણ એસીડ એટેકની ઘટનાઓ સાવ ઓછી કે સમ્પૂર્ણ બંધ તો થઇ જ નથી .
મોહાલીના મરોલી કલન ગામની ઇન્દરજીત કૌર પર એટલા માટે એસીડ ફેંકવામાં આવ્યો કે એણે લગ્નનું માંગુ ઠુંકરાવેલું…. ફરીદા પર એટલા માટે એના પતિએ એસીડ ફેંક્યો કેમકે ડ્રગના વ્યસની પતિને છોડવાની એણે વાત કરેલી ….ભાગલપુરની કાજલ પર એસીડ એટલે ફેંકાયો કેમકે એણે પોતાની છેડતીનો વિરોધ કરેલો ….વારાણસીથી દિલ્હી જઈ રહેલી ટ્રેનમાં સુતેલી પ્રજ્ઞાસિંહ પર એના પૂર્વ પ્રેમીએ એસીડ છાંટી દીધો ….બેંગ્લોરમાં ૩૫ વર્ષની બસ કંડકટર મહિલા પર સ્કુટર પર આવેલા બે અજાણ્યા શખ્શોએ તેજાબ ફેંક્યો …ઇવન મશહુર એક્ટ્રેસ કંગનાની બહેન રંગોલીએ પણ પોતાના પર થયેલા એસીડ એટેકની વાત કરી છે …..હરિયાણાની રીતુ પર એના જ ફોઈના દીકરાએ ભાડુતી ગુંડાઓ પાસે એસિડ ફેંકાવેલો ,એસિડ અટેક વખતે રીતુ માંડ 17 વર્ષની હતી, અને ફોઈનો દીકરો 39નો હતો…મુઝફરનગરમાં પોતાના પર થયેલા બળાત્કારની સુનાવણી માટે જી રહેલી ૩૦ વર્ષની સ્ત્રી પર બળાત્કારના જ આરોપી એવા ચાર લોકોએ એસીડ ફેંક્યો – કારણ ? સ્ત્રીએ બળાત્કારની ફરિયાદ પછી ખેંચવાની ના પાડેલી ….આદિત્યની માતાના એકતરફી પ્રેમમાં પડેલા પાડોશીએ માત્ર અઢી વર્ષના આદિત્ય પર એસીડ એટેક કરેલો … આ તો માત્ર ઉદાહરણો જ છે , વાસ્તવિકતા તો આનાથી પણ અનેક ગણી ભયાનક છે પણ ઉપરના બધા જ ઉદાહરણો એક વાત તરફ અંગુલીનિર્દેશ કરે છે કે મોટાભાગના એસીડ એટેકના બનાવો સ્ત્રીઓ પર જ બને છે . નોંધાયેલા કેસોમાંથી ઓલમોસ્ટ ૭૨% બનાવોમાં ભોગ બનનાર સ્ત્રી છે અને આ બનાવોમાંથી લગભગ ૭૦% જેટલા બનાવોનું કારણ છે પ્રેમીને નાં પાડવી કે લગ્નની દરખાસ્ત નામંજૂર કરવી …!!.ગંભીરતા એ છે કે સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારોમાં એસીડ ફેંકવાનો અત્યાચાર કદાચ ઘરેલું હિંસા પછીના ક્રમે આવે છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ૨૦૧૭ ના એક રીપોર્ટ મુજબ એસીડ એટેકના ૫૬ બનાવો સાથે ઉત્તરપ્રદેશ નંબર એક પર છે . બંગાળમાં ૫૪ અને દિલ્હીમાં ૧૪ બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. એના પછીના સ્થાને ૧૩-૧૩ બનાવો સાથે ઓડીસા અને કેરળ છે . આંધ્ર , તામીલનાડુ અને કર્ણાટકમાં પણ પાંચ થી ત્રણ બનાવો નોંધાયા છે . ઇવન આપણા ગુજરાતમાં પણ એકલ દોકલ બનાવો નોંધાયા છે . ૨૦૧૭ ની જ વાત કરીએ તો ભારતભરમાં કુલ ૨૪૪ એસીડ એટેકના કેસો નોંધાયા . તમને કદાચ આ આંકડો ઓછો લાગતો હોય તો જાણી લ્યો કે એસીડ એટેકના મોટા ભાગના બનાવો પોલીસ ચોપડે નોંધાતા જ નથી . અને એટલે જ અહી ૨૦૧૭ ના આંકડા એટલા માટે નોંધ્યા કે આ જધન્ય અપરાધની ગંભીરતા સમજાય . મોટાભાગના એસીડ એટેક કેસમાં ક્યાં તો ભોગ બનનારનું મૃત્યુ થયું હોય છે અથવા તો ગામડાઓમાં બનતા આવા બનાવો પોલીસ ચોપડે નથી નોંધાતા અથવા તો મોટાભાગના કિસ્સાઓમાં એસીડ એટેક કરનાર કુટુંબનું જ કોઈ સભ્ય હોય છે અથવા તો ગામ કે શહેરનો વગદાર માણસ.
હકીકત એ છે કે દેશનો કોઈ કાયદો એસિડ અટેક કરનારાઓને રોકી નહીં શકે કેમકે એક તો કાયદાકીય વિધિમાં અનિવાર્ય ઝડપનો અભાવ છે કે જેનાથી કડક સજા થાય અને ભવિષ્યમાં કોઈ આવું કરતા સો વાર વિચારે બીજું કે આ એક માનસિકતા છે અને જો માનસિકતા બદલાય તો જ આવા બનાવો ઓછા થાય .. તેના માટે જરૂર છે લોકોની મેન્ટાલિટી બદલવાની. એસિડ અટેક થવાથી ચહેરો બગડ્યો હોય તો શું થઈ ગયું? સર્વાઇવર્સને ઘરે બેસી રહેવાની કોઈ જરૂર નથી. સમાજે તેમની મદદ માટે આગળ આવવાની જરુર છે. એસીડ એટેકનો ભોગ બનનારને સહાનુભુતિ કરતા પણ ટેકાની વધુ જરૂર હોય છે . દેશમાં અનેક સંસ્થાઓ આ માટે કામ કરે છે એ ઉપરાંત એસીડ એટેકનો ભોગ બનનાર પણ પોતાની રીતે જિંદગી જીવવાના પ્રયત્નો કરી રહ્યા છે , ઘણીબધી સ્વૈચ્છિક સંસ્થાઓ એમના પુનર્વસન , એટેક પછીની સારવાર અને ફરીથી સમાજમાં સ્થાન મેળવી શકે એના માટે વિવિધ પ્રવૃતિઓ કરી રહી છે ખાસ તો એસીડ એટેકનો ભોગ બનેલ ફરીથી સરળ રીતે જિંદગી જીવી શકે એવા પ્રયાસો હજુ વધુ થાય એ બહુ જરૂરી છે . એની સાથે સાથે વધતા જતા એસીડ એટેકના બનાવો સ્પષ્ટ નિર્દેશ કરે છે કે કાયદાને હજુ વધુ કડક ઝડપી અને પારદર્શી બનાવવાની તાતી જરૂર છે . નો ડાઉટ કાયદો , સરકાર અને સમાજ શક્ય એટલી કડકાઈ , સહાનુભુતિ અને એક્શન લઇ રહી છે પણ જો સ્ત્રીઓ પર થતા આ અતિ જધન્ય અપરાધને ખાળવો હશે તો હજુ પણ સમાજ અને કાનુંને ઘણું કરવું પડશે ,