એક્ઝામ આફ્ટર કોરોના : ઓલ ધ બેસ્ટ !!!!
આવતીકાલથી બોર્ડ પરીક્ષાઓ શરૂ થવા જઇ રહી છે . કોરોનાની ગંભીર અસરો માનવજીવનના જે જુદા જુદા પાસાઓ પર પડી છે એમાંથી શિક્ષણ પણ એક છે ઇન્ફેકટ શિક્ષણ પર તો અતિગંભીર કહી શકાય એવી અસરો પડી છે . કોરોનાના પાપે લગભગ છેલ્લા બે’ક વર્ષથી સ્કૂલો-કોલેજો બંધ જ કે બંધ જેવી જ હતી એમ કહી શકાય . વિદ્યાર્થીનું સ્કૂલના કેમ્પસમાં જે પ્રમાણે શૈક્ષણિક ઉત્થાન થાય કે વિકાસ થાય એવો વિકાસ બૌદ્ધિક કે શૈક્ષણિક રીતે ઘરે બેસીને ભણવામાં નથી જ થતો એ તો હવે કોરોનાનો આટલો સમય અને આકરો માર ખાધા પછી દરેક વાલીઓ અને શિક્ષકો બન્નેને સમજાઈ જ ગયો હશે , એવામાં પહેલીવાર ઓનલાઈનથી ફુલ્લી ઓફલાઇન પરીક્ષા લેવાવા જઇ રહી છે ત્યારે એઝ યુજવલ પરીક્ષાનો હાઉ અને પરીક્ષાની બીક સ્વાભાવિકપણે દરેક પરિક્ષાર્થીમાં હોવાની જ પણ આ વખતની પરીક્ષામાં કદાચ એ બીક .. એ હાઉ વધુ હોવાનો . જો કે છેલ્લા થોડાક મહિનાઓથી સ્કૂલો ફરી શરૂ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ પણ અમુક અંશે સ્કૂલે જતાં થઈ ગયેલા પરંતુ કોરોના પહેલાના સમયમાં જે રીતે સ્કૂલ્સ અને શિક્ષણ ચાલતું હતું એમાં નિઃશંકપણે ઓટ તો આવી જ છે એવામાં વિદ્યાર્થી માટે એ પડકારરૂપ થઈ પડશે કે મનને સ્વસ્થ રાખીને અને ચિત ને એકાગ્ર રાખીને પરીક્ષા આપવી . કેમ કે 10 અને 12 માટે કહી શકાય કે જે એકાગ્રતાથી અભ્યાસ કરવો જોઈએ એ રીતનો અભ્યાસ ઓલમોસ્ટ આખું વરસ કરવા નથી જ મળ્યો .
આમ તો શું છે કે બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓ તો બે વર્ષ પછી પરીક્ષાઓ આપવાના છે અને બોર્ડમાં પણ શૈક્ષણિક વર્ષ 2020-21માં કાળમુખા કોરોનાને પગલે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું અને એટલે એ વર્ષે પરીક્ષાઓ લેવાઈ જ નહોતી . 2 વર્ષ બાદ આ વખતે બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. આ વખતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. છેલ્લા થોડા મહિનાઓથી કોરોનાના કેસમાં ઘટાડો થતાં અને વેકસીનેશનના પ્રતાપે શૈક્ષણિક કાર્ય ફરી શરૂ થઈ ગયેલું પણ વિદ્યાર્થીઓના દિલમાં અને રોજબરોજની જિંદગીમાં કોરોનાના વિચારો અને એની ગાઈડલાઈનો વચ્ચે હવે પરીક્ષા આવી પહોંચી છે ત્યારે પરિણામની ચિંતા સતાવતી હશે જ કારણ કે આગળ કહ્યું એમ ઘરે બેસીને થયેલી તૈયારી ચોક્કસપણે સ્કૂલમાં થતી તૈયારી કે કોચિંગ ક્લાસિસમાં થતી તૈયારીઓ જેટલી તો નહીં જ હોય . અને આમ પણ માસ પ્રમોશનમાં પાસ થયેલા વિદ્યાર્થીઓનું તો બેઝિક જ કાચું રહી ગયેલું હોવાનું એવામાં આ પરીક્ષા ( ખાસ કરીને 12 મા માટે ) અઘરી તો રહેવાની . એક તો છેલ્લા બે વર્ષથી સ્કૂલો ઓલમોસ્ટ બંધ જેવી હતી એને લીધે જે પર્સન ટુ પર્સન શિક્ષણ પાસ થતું હતું એ અટકી ગયું . કોઈ ભલે ઓનલાઈન શિક્ષણના ગમે એટલા લાભાલાભ ગણાવે પણ એ હકીકત છે કે ઓફલાઇન શિક્ષણની વિદ્યાર્થી પર જે અસર છે .. ઓફલાઇન શિક્ષણના માહોલનો વિદ્યાર્થિની પર્સનાલિટી પર જે ઇફેક્ટ થાય છે અને ખાસ તો સ્કૂલમાં ( ઇન ધેટ કેસ – ઓફલાઇન શિક્ષણમાં ) જે સ્પર્ધાત્મક ભાવનાનો ઉદ્ભવ થાય છે અને એને લીધે શિક્ષણના નવા આયામો સર કરવાનું જે જોમ અને જનૂન ચડે છે એનો સદંતર અભાવ ઓનલાઈન શિક્ષણમાં જોવા મળે જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી જ .
આ ઓનલાઈન ભણીભણીને પંડિત થવામાં તકલીફો અનેક છે અને એ તકલીફો ઓફલાઇન એક્ઝામ વખતે નડવાની તો ખરી જ . ઓનલાઈનને લીધે વિદ્યાર્થીઓમાં લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ છે અથવા તો સાવ ઓછી થઈ ગઈ છે એવામાં 3 કલાક લખવું મુશ્કેલ તો રહેવાનું . ઓનલાઈન પરિક્ષાઓમાં તો શું છે કે બીજા મોબાઇલમાં ગૂગલ કરીને કે પુસ્તક સામે રાખીને જવાબો આપીને 100 માંથી 90 લાવવાનું કરતબ આ ઓફલાઇન પરીક્ષામાં તો ચાલવાનું નથી એટલે એ પાછી બીજી એક તકલીફ ..!!! અને આમ લાવેલ ઉચ્ચગુણોને લીધે ‘ હું તો હોશિયાર છું ‘ એવો ઓવર કોન્ફિડન્સ આવી જાય એ પાછી નવી તકલીફ . બે કે ત્રણ કલાક એકધારા બેસવાની .. વાંચવાની કે લખવાની પ્રેક્ટિસ જ છૂટી ગઈ છે એવામાં બોર્ડની પરીક્ષામાં આનો જ સામનો કરવાનો આવશે એટલે એ સ્થિતિની કલ્પના જ કરવી રહી ..!!! બોર્ડની પાછળ પાછળ જ 9 અને 11 ની પરીક્ષાઓ પણ આવી રહી છે . હવે આ પરીક્ષાઓ બોર્ડની ના હોય પણ બોર્ડના પ્રવેશ માટે અગત્યની છે અને બોર્ડની પરીક્ષાની જેમ જ આ બન્ને પરિક્ષાઓમાં તકલીફો ઉપર લખી એ મુજબની સેમ ટુ સેમ જ છે ..!!!
આમ તો પરીક્ષાના નવા જાહેર થયેલા માળખા મુજબ લગભગ 30% પ્રશ્નો હેતુલક્ષી- ટૂંકા પ્રશ્નો હોવાના , પેપર માળખું પણ સરળ છે એમ છતાં પણ અંદાજ છે કે લગભગ 5-7 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થવાના , મતલબ કે લગભગ 50% આસપાસ . અને આના કારણોમાં આગળ લખી એ તકલીફોનો મહત્તમ ફાળો રહેવાનો એ હકીકત છે . બે વર્ષ પહેલા 90-95 % લાવનાર દીકરો કે દીકરી અત્યારે પરીક્ષાનું કે ભણવાનું નામ પડતાં જ ભડકે અને ગુસ્સે થઈ જાય એના મૂળમાં એનું ઓનલાઈનમાં વધુ થયેલું આકલન અને હવે ઓફલાઇન પરીક્ષામાં આવી કોઈ સગવડ નથી મળવાની એ હકીકતનું ફસ્ટરેશન છે અને વાલીઓને આ જ ચિતા છે . હવે બાળકોને ‘ ટાંટિયો વાળીને ‘ વાંચતાં કે લખતા કરવા ભગીરથ કાર્ય છે એવામાં વાલીઓની ચિંતા વાજબી છે કે દશેરાએ ઘોડું દોડશે કે નહીં ? છેલ્લા થોડા મહિનાઓથી શરૂ થયેલી ઓફલાઇન સ્કૂલ્સના શિક્ષકોની વાત માંનીએ તો સ્કૂલમાં લેવાયેલી ટેસ્ટ એક્ઝામમાં એવા ઘણા વિદ્યાર્થીઓ હતા કે જેમને પહેલા આવતા 90-95% ની બદલે 70-75 % માર્ક આવ્યા . કોરોના ભલે ગયો પણ એની અસરો અને ખાસ તો શિક્ષણ પરની અસરો બે ચાર વર્ષો સુધી રહેવાની . શિક્ષણક્ષેત્રના નિષ્ણાતો ચેતવી ચૂક્યા છે કે ઓનલાઈન શિક્ષણ .. હાજરીની આધારે પાસ કરવાની રીત અને માસ પ્રમોશનને લીધે શિક્ષણનું સ્તર ગબડી ચૂક્યું છે અને એને ફરી ઉચ્ચ સ્તરે લાવતા વાર તો લાગશે જ .
“ કોરોના હોત તો સારું રહેત , માસ પ્રમોશન તો મળી જાત “ આવા વિચારો દિલ – દિમાગ પર હાવી થાય એ પહેલા એટલું સમજી લો કે પરીક્ષા કોઈ રાક્ષસ નથી અને આ વાત વિદ્યાર્થી કરતાં વાલીઓએ સમજવી વધુ જરૂરી છે . કદાચ એવું લાગે કે તૈયારીઓ ઓછી છે કે ઓછા માર્કસ આવવાની શક્યતા છે .. પણ તો શું થઈ ગયું ? કોરોના જેવા કોરોનામાં પણ લોકો આર્થિક – સામાજિક સ્તરે ટકી ગયેલા તો આ તો માત્ર એક્ઝામ છે .. એક પરીક્ષા માત્ર ..!!!! અને આમાં નાપાસ થાવ તો એનો અર્થ એ થોડો છે કે બાઝી હારી ગયા ? ના રે ના ..!!!! હા ઓફલાઇન થી ઓનલાઈન એક્ઝામમાં મુસીબતો અનેક છે પણ સ્ટ્રોંગ તો રહેવું જ પડશે . હવે કોરોનાને લીધે મળતા લાભો નથી મળવાના એ હકીકતને નજરમાં રાખીને આગળ વધવાનું છે એવામાં આ એક્ઝામ એક એવો પડાવ છે જે આપણને ફરીથી પ્રી-કોરોના સમયમાં સેટલ થવાનો સરસ મોકો પૂરો પડે છે . વિદ્યાર્થિની સાથે સાથે વાલીઓએ પણ આગળ લખેલી મુસીબતોને દિમાગમાં રાખીને શક્ય એટલું બેસ્ટ રિઝલ્ટ લાવવાની કોશિશ કરવી જ રહી અને એમ છતાં પણ જે આવે એ પરિણામ સ્વીકારીને હવેનો સમય આટલો મુશ્કેલ નહીં જ હોય એ ધ્યાનમાં રાખીને બાળકને કોઈ જ પ્રકારના ખોટ દબાણો વગર પરીક્ષામાં મોકલવું પડશે અને સામે છેડે બાળકે ઓફલાઇનના બેનિફિટ્સને ભૂલીને વાસ્તવિકતાનો મુકાબલો કરવા પોતાની જાતને તૈયાર રાખવું પડશે . કોરોનાને લીધે વિદ્યાર્થિની મનોસ્થિતિ તંત્ર પણ જાણે જ છે એટલે ધારો છો એટલું અઘરું નહીં જ હોય એમ છતાં પણ ‘ જિંદગી હર કદમ ઇક નઇ જંગ હૈ ‘ ની જેમ પરીક્ષાનો આ જંગ દિમાગ શાંત .. જીવ સ્વસ્થ અને ખાસ તો ‘ યે દિન ભી કટ જાયેંગે ‘ નો ભાવ રાખીને બેસ્ટ આપીને જીતવાનો છે . ઓલ ધ બેસ્ટ !! ( akurjt@gmail.com )
- અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” 27 માર્ચ 2022 )