જુઠ બોલે કૌવા કાટે !!!!
“ સાચ્ચે , અલ્યા રિંગ જ નથી આવી . આવી હોય તો તો ઉપાડી ના લઉં તારો કોલ ?”…. .. “ અરે બાપ્પા , ટાઈમ જ કયા મળે છે ? આમ ને આમ આખો દિવસ નીકળી જાય છે “.. .. ‘ કાલે જ તમારી બાજુ નીકળેલા પણ શું છે કે છોકરાઓ ઘરે એકલા હતા એટલે ના આવ્યા “.. .. ‘ ટાઈમે જ નીકળેલો , પણ રસ્તામાં બહુ જ ટ્રાફિક હતો ..” .. .. ‘ હેલ્લો .. હેલ્લો .. અવાજ નથી આવતો , કવરેજ ગયું લાગે છે ..” સી , આ અને આવા ડાયલોગ હજુ પણ આનાથી વધુ લખાઈ શકે એમ છે પણ આટલું વાંચતાં જ તમને ખ્યાલ આવી ગયો હશે કે લગભગ બધા જ ડાયલોગમાં પહેલી નજરે જ કઈક ખોટું છે એવો વરતારો આવી જાય છે . જી હા સહી પકડે હૈ કે આ બધા જ ડાયલોગમાં ક્યાંક ને ક્યાંક નિર્દોષ ખોટું બોલાઈ રહ્યું છે . જો કે જૂઠ તો આખિર જુઠ હોતા હૈ ના .. એમાં કાઇ નિર્દોષ કે સદોષ જેવુ નથી હોતું અને ઘણા જુઠ સકારણ હોય છે પણ મોટેભાગે આપણે ઘણા જુઠ કોઈ જ કારણ વગર પણ બોલી દેતા હોઈએ છીએ . શોલે ના ડાયલોગ ની જેમ ‘ અબ પાર્ટનર બોલ દિયા તો બોલ દીયા ‘ એમ કરીને ખોટું બોલી નાખવામાં આપણે કયા સિક્કો ઉછળવા જઈએ છીએ હે ..???/
હકીકત એ છે કે જુઠ સાંભળવું મને કે તમને કોઈને પસંદ નથી હોતું પણ સાથે સાથે એ પણ હકીકત છે કે જુઠ બોલવું પાછું મને ને તમને પસંદ હોય છે ..!!!!! ઘણા મજબૂરીમાં ને ઘણા દબાવમાં આવીને જુઠ્ઠું બોલતા હોય છે પણ ઘણા તો આ કળામાં એવા ઉસ્તાદ હોય કે તમને એનું જુઠ પણ સોળ આના સાચું જ લાગે અને ખૂબીની વાત એ હોય કે ભયંકર જુઠ્ઠું બોલતી વખતે પણ એમના ચહેરા પર કે કપાળ પર એકેય વળ ના પડે બોલો ..!!! મશહૂર મનોવૈજ્ઞાનિક બ્રુનોએ તો સંશોધનને અંતે કહ્યું છે કે જુઠ બોલવું એ ઈન્સાનિ ફીદરત-સ્વભાવ છે અને એ ચાલવા-બોલવા જેટલી જ સાહજિક ક્રિયા છે . એણે તો ત્યાં સુધી નોંધ્યું છે કે એક બાળક ૨-૩ વર્ષનું થાય ત્યાં જ જુઠ બોલતા શીખી જાય છે અને સંશોધન એમ કહે છે કે ૧૩-૧૭ વર્ષ વચ્ચે જુઠ બોલવાની આ આદત ચરમસીમા પર હોય છે . જો કે સાવ એવું નથી કેમકે વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ના ભૂલે એમ ઇન્સાન મરે ત્યાં સુધી જુઠ બોલતો જ રહે છે . બેજીકલી ઇન્સાન જન્મવાની સાથે જુઠ બોલવાનું શીખીને નથી આવતો પણ સમાજ – સંગત અને સ્થિતિ મુજબ એ જુઠ્ઠું બોલવાનું શીખી લે છે . બાળક ઘોડીયામાં હોય અને સૂતું ના હોય તો આપણે કહીએ છીએ ને કે ‘ સૂઈ જ નહિતર હમણાં વાઘ આવશે ‘ પેલું બાળક મોટું થઈને વિચારે કે વાઘ તો ક્યારેય આવ્યો નહીં .. બસ જુઠ્ઠું શીખવાની શરૂઆત જ અહીથી થઈ જાય છે ..!!!!!!! જો કે વૈજ્ઞાનિકો તો એમ પણ કહે છે કે કોઈ બાળક જુઠ્ઠું બોલવાનું શરૂ કરી દે એમ તમને લાગે તો સમજજો કે એનો દિમાગી વિકાસ થઈ રહ્યો છે . લો કર લો બાત ..!!!!!!!!!!!
આમ તો શું છે કે એક કહેવત છે કે ‘ જુઠને વારંવાર બોલો એટલે એ સત્ય થઈ જાય ‘ એમાં આ ટેકનોક્રેઝી જમાના મુજબ એક ઉમેરો પણ છે કે ‘ જુઠને જેટલું જોરથી બોલો એટલું જલદી એ સત્ય થઈ જાય ‘ અને સોશિયલ મીડિયાના જમાનામાં આ બીજી કહેવતની મને ને તમને બહુ સારી ખબર છે કેમકે રોજ ઊઠીને હજારો લાખો ફેક ન્યૂઝ કે ફેક ખબરો ફરવા માંડે છે અને ઘણીબધી આવી ફેક બોલે તો જુઠ્ઠી ખબરો લોકો સાચી માની જ લે છે . સૌથી વધુ જુઠ આજકાલ અહિયાં જ ફેલાય છે એ હકીકત છે અને ખૂબીની વાત એ છે કે ઘણાબધા ન્યૂઝ પહેલી નજરે જ ફેક લાગતાં હોવા છતાં પણ આપણે ફોરવર્ડ કરતાં રહીએ છીએ અને એટલે જ આવા ન્યૂઝ જુઠ ઉપર જૂઠનો સરવાળો થતાં થતાં સાચા લાગવા માંડે છે . સોશિયલ મીડિયાના જનમ પહેલા છેક ૧૯૪૦માં થયેલા એક સંશોધનમાં એવું સાબિત થયેલું કે કોઈ અફવા જેટલી વધુ વાર ફેલાવવામાં આવે એટલી જલદી એ લોકોને સાચી લાગવા માંડે છે . આ અફવાવાળું આપણે ધરતીકંપ વખતે ખૂબ અનુભવેલું .
જોકે એમ તો એમ પણ કહેવાય છે કે ‘ એક જુઠ ને છુપાવવા માટે બીજા હજારો જુઠ બોલવા પડે છે ‘ તે ભલેને બોલવા પડે પણ જુઠ બોલવાની મજા અલગ જ છે . વ્હાય? વ્હાય ? કહેવાય છે કે સત્ય કડવું હોય છે અને એટલે જ કદાચ જુઠ આપણને આકર્ષિત કરતું રહ્યું છે . એક તો બોલવું આસાન છે બીજું કે ખબર નહીં પણ ઈર્ષા , દુશ્મનાવટ , દુશ્મની જેવા કિસ્સામાં કોઈ માટે બોલેલું જુઠ જાણે કોઈ અંગત બદલો લઈ લીધો હોય એવી ફિલિંગ આપે છે . ઘણીવાર ખબર હોય કે આ જૂઠ ના પગ બહુ નથી દોડવાના છતાંપણ આંશિક શાંતિ કે અહમ ખાતર પણ જુઠ બોલવું આસાન થઈ પડે છે . અને બીજું શું છે કે આપણે ખુદ પણ કોઈના જૂઠનો શિકાર બની ચૂક્યા હોઈએ છીએ એટલે એમ થાય કે દુનિયા આ જ કરે છે , આપણે પણ કરો . !!!!! ‘ જેને પાપ ના કર્યું હોય એ પહેલો પથ્થર મારે ‘ એમાં પાપની જગ્યાએ ‘ જુઠ ના બોલ્યું હોય ‘ એટલો ફેરફાર કરી દ્યો પછી જુઓ એકેય પથ્થર આવે તો ..!!!!! ક્યાંથી આવે ? કોઈ એવું નથી જે જુઠ્ઠું ના બોલ્યું હોય . તો પછી સાચું બોલવામાં તો હિમત જોઈએ , ખમીર જોઈએ , જ્યારે આમાં આ કોઇની જરૂર નહીં . જીંકો તમતમારે..!!!!
‘ સજન રે જુઠ મત બોલો . ખુદા કે પાસ જાનાં હૈ ‘ આવું મુકેશજી ગાઈ ગયા પણ એમ કાઇ ખોટું બોલ્યા વગર થોડું ચાલે હે ..????? ત્યાં જવાનું થાય ત્યારની વાત ત્યારે હે ..!!!!!! હવે જો કોઈ એમ કહેતું હોય કે હું તો ક્યારેય જુઠ્ઠું બોલ્યો જ નથી કે બોલી જ નથી તો એ વ્યક્તિને સાવ જુઠ્ઠું સમજવું બીકોઝ દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક અને ક્યારેક ને ક્યારેક તો જુઠ્ઠું બોલે જ છે , ઘણાને પોતાનો અહમ સંતોષવા માટે જુઠ્ઠું બોલવાની ટેવ હોય છે તો ઘણાને પોતાનો બચાવ કરવા જુઠ્ઠું બોલવાની ટેવ હોય તો ઘણાને સામેવાળાને જૂઠું સાબિત કરવા જૂઠું બોલવાની ટેવ હોય છે ઇન્ફેકટ ઘણાને તો સતત જુઠ્ઠું બોલવાની ટેવ પણ હોય છે . જો કે સતત જુઠ્ઠું બોલવાની ટેવને વિજ્ઞાનની કે મનોવિજ્ઞાનની ભાષામાં મેટોમેનિયા કહે છે . આ એક પ્રકારનો માનસિક વિકાર જ કહી શકાય કે જેમાં વ્યક્તિ પોતાને ખબર હોવા છતાં પણ જુઠ્ઠું બોલે છે એટલું જ નહીં પણ પોતાની ખોટી વાત ને પણ સાચી મનાવવામાં સફળ થાય છે . જો કે બધા જ જુઠ ઈર્ષા , બચાવ માટે , કોઈનું બૂરું કરવાની નીતિથી નથી બોલાતા પણ ઘણા જુઠ એવા પણ હોય છે કે જેને બોલવાથી કોઈનો લાભ થતો હોય છે , કોઈને ફાયદો થતો હોય છે . હિન્દી ફિલમુ માં ડાયલોગ નથી હોતા કે ‘ જો જુઠ કિસીકી ભલાઇકે લઈએ કહા જાયે ઉસે જુઠ નહીં કહેતે ‘ જોકે એને પણ કહેવાય તો જુઠ જ ..!!! અને આમ પણ તમે કયા , કેટલું અને કેવું જુઠ્ઠું બોલો છો એ તો ટોટલી તમારી કેપેસિટી પર જ નિર્ભર હોય છે . આજકાલ તો એટલું જુઠ બોલાય છે કે મારા હિસાબે તો જુઠ્ઠું બોલવું અભ્યાસક્રમ માં દાખલ કરી દેવું જોઈએ અરે જૂઠશ્રી , જુઠભૂષણ જેવા ઇલકાબો ડિકલેર કરવા જોઈએ કેમકે આજકાલ જુઠે કા મૂહ કાલા નહીં હૈ પણ જુઠે કી બોલબાલા હૈ ..!!!!!!!!
- અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ‘ રઝળપાટ ‘ ૨૧ નવેમ્બર ૨૧ )