ડિપ્રેશન : હસરતો કો કહો , હદ મે રહે….!!!!!!!
“ ડિપ્રેશન કો ડિપ્રેશન દે દો ……હસરતો કો કહો , હદ મે રહે “…. હિમેન અને કરોડો લોકોના દિલ પર રાજ કરનાર ધર્મેન્દ્રએ શુશાંતસિંહ રાજપૂતના અકાળ મૃત્યુ પર પોતાના ફાર્મહાઉસ પરથી આ સંદેશો સોશિયલ મીડિયા પર શેર કરેલો . શુશાંતના અપમૃત્યુ પર ઉઠેલા અનેકો વિવાદો અને કારણોમાંનું એક કારણ ડિપ્રેશન ગણાવાયેલુ એવામાં ધરમપાજીના આ ચંદ શબ્દો ડિપ્રેશનને કેમ મ્હાત આપી શકાય એની સરળ ભાષામાં સચોટ દવા આપી જાય છે . ‘ હસરતો કો કહો કી હદ મે રહે ‘ …કેટલું સચોટ અવલોકન અને કેટલી સચોટ વાત કરી ડિપ્રેશન પર !!!! શુશાંતના મૃત્યુ પર ઘણું લખાયું ….ઘણું બોલાયું અને ઘણું ચર્ચાયું પણ હકીકત એ છે કે ફિલ્મી કે ગેરફીલ્મી દુનિયામાં એના અવસાન પર ચાલતી અનેકો ચર્ચાઓ વચ્ચે એક વાત શીખવી જ રહી કે ‘ ડિપ્રેશનને કેમ ડિપ્રેસ કરવું ? ‘
ફિલ્મી કલાકારો પણ અંતે તો સામાન્ય માનવી જ છે એની વધુ એક સાબિતી શુશાંતના અવસાને આપી દીધી . ફિલ્મી પરદે હિરોગીરી કરતાં કે શુશાંતની જ આ લખનાર ને ગમતી ફિલ્મ ‘ છીછોરે ‘ માં શુશાંત એના આપઘાતની કોશીષને લીધે બિછાને પડેલા પુત્રને સફળતા-નિષ્ફળતાની જે પણ ડાહી વાતો કરતો દેખાયેલો ( ઓફકોર્સ પાત્ર તરીકે જ ) એનાથી વિપરીત જ એણે પોતાના જીવનના અંત બાબતે કર્યું . અનુપમ ખેરે બરાબર જ પુછ્યું ‘ આખિર ક્યો ? ‘. મને ને તમને મારી ને તમારી આસપાસ બનતી આવી ઘટનાઓ વખતે બિલકુલ આ જ સવાલ ઉદભવે છે કે ‘ અંતે કેમ લોકો આવું પગલું ભરે છે ?’ જ્યારે કે હું ને તમે બધા બરાબર જાણીએ છીએ કે બધુ આપણે ધારીએ એમ નથી થતું હોતું કે બધુ થવું એ આપણાં બસની વાત છે પણ નહીં . અઘરું એ છે કે આવું જાણતા હોવા છતાં પણ શુશાંત જેવા અનેકો દાખલાઓ બન્યા જ કરે છે . ધરમજીના જ શબ્દોને વધુ મમળાવીએ તો ઇચ્છાઓ ને કાબુમાં રાખતા શીખો તો ડિપ્રેસ થવાની શક્યતાઓ ઓછી રહેવાની .
શુશાંતના કેસમાં તો ડિપ્રેસ થવાના કારણો એકથી વધુ હતા જ . મોટા પ્રોજેકટો હાથમાથી નીકળી જવા , છ વર્ષથી જેની સાથે પ્રેમસંબંધ હતો તે તૂટી જવો થી લઈને ‘ કુછ કર દિખાના હૈ ‘ વાળો એટીટ્યુડ સાકાર થતો ના દેખાયો એનું દર્દ , ઈન્ડસ્ટ્રીના લોકોનો વ્યવહાર ….આવા કારણોની સાથે સાથે ધીરે ધીરે વધતી જતી એકલતા પણ આના કારણો હતા જ . ઇન્સાન જ્યારે ધારેલું મેળવવાની કગાર પર હોય અને એ કામિયાબ ના થાય તો સ્વાભાવિક ડિપ્રેસ થઈ જ જવાનો અને એનાથી વધુ મોટો ધક્કો એને ત્યારે લાગે જ્યારે એને ખબર પડે કે આ નાકામિયાબી એની પોતાની કાબેલિયત કે અણઆવડતને બદલે કોઈના કૂ-કર્મોનું ફળ છે ત્યારે એ ગુસ્સો – ખીજ – વલવલાટ ડિપ્રેશનનું રૂપ ધારણ કરી લેવાનું અને જ્યારે એ વસ્તુ બેવડાતી જાય કે વારંવાર બનતી જાય ત્યારે ડિપ્રેશન વધુને વધુ ઘૂંટાવાનું . ડિપ્રેશનના અનેકો કારણો હોય શકે છે પણ મુખ્ય કારણ તો આ લખ્યું એ તો ખરું જ . લોકો કહે છે કે ‘ અરે કોઈને વાત તો કરવી હતી …કઈક સોલ્યુશન નીકળી આવત ‘ પણ મોટાભાગના કેસમાં ભલે ખૂલીને નહીં તો પણ અછ્ડ્તો ઈશારો કે મોભમ વાત તો ભોગ બનનારે કોઈ ને કોઈ ને તો કરી જ હોય છે . શુશાંતના કેસમાં તો એની બહેને જ કબૂલ્યું કે હી વોઝ અંડર ડિપ્રેશન , મિન્સ કે એની બહેન જાણતી જ હતી કે ભાઈ ડિપ્રેશનમાં છે .
મોટાભાગે અપેક્ષાઓ પછી એ પોતાની હોય કે નજીકના લોકોની કે જ્યાં કામ કરતાં હોય ત્યાની કે પછી પ્રોફેશનલ કે પર્સનલ લેવલે વિચારેલી – પૂરી કરવા ધારેલી અપેક્ષાઓ વેરવિખેર થતી દેખાય – પૂરી થઈ જ નહીં શકે એવું અનુભવાય ત્યારે મોટાભાગે ઇન્સાન ડિપ્રેસ થઈ જાય છે . ડોક્ટરો તો આના ત્રણ પ્રકાર ગણાવે છે . માઈલ્ડ ડિપ્રેશન કે જેમાં હ્ર્દયભંગ જેવા કારણો સામે છે પણ આ પિરિયેડ થોડા દિવસો કે કલાકો ચાલી શકે છે . મૉડરેટ ડિપ્રેશન થોડા વધુ દિવસો ચાલી શકે છે કે જેમાં ભૂખ ના લાગવી કે વધુ ઊંઘ આવવી શામેલ છે અને મેજર ડિપ્રેશનમાં વધુને વધુ એકલતા , જીંદગીનો મોહત્યાગ જેવા લક્ષણો કે જે અંતે ઘણીવાર આપઘાત તરફ દોરી જાય છે . ત્રણેય તબક્કામાં ડોક્ટરો તો કાઉન્સેલિંગ અને દવા જેવી સલાહો આપે જ છે પણ હકીકત એ છે કે એ કાયમી ઉકેલ નથી જ અને કાયમી સોલ્યુશન તો ઈન્સાને પોતે જ શોધવું પડે છે અને એના માટે ફરી એકવાર લેખની શરૂઆતમાં લખેલા ધરમપાજીના શબ્દો પર ગોર ફરમાઈએગા !!!! યાદ રહે ધરમજી પણ શોહરતની ટોચીકૅપર પહોચીને અત્યારે ફાર્મ પર એકલા જ જીવન ગુજારે છે અને એમના ઇનસ્ટા વિડીયો ચેક કરો તો સમજાય કે ડિપ્રેશન કેમ એમનાથી જોજનો દૂર છે .
અપેક્ષાઓ અને એની નિષ્ફળતાઓ ડિપ્રેશનના મેજર કારણો તો છે જ . પરીક્ષા , કેરિયર , ભવિષ્ય અને સામાજિક કે રિલેશનશિપમાં નિષ્ફળતા કે એનો ડર ડિપ્રેશ થવાના એ પગથીયાઓ છે કે જે અંતે આપઘાત તરફ દોરી જાય છે . મેડિકલ સાયન્સ નોંધે છે ઘણા તબક્કામાં હું ને તમે ‘ હેલ્પલેસ ‘ ફિલ કરતાં હોઈએ છીએ જે સ્થિતિ થોડા સમય માટે હોય શકે છે પણ એ ડિપ્રેશન નથી જ . ભલે આપણે એમ બોલી કાઢીએ કે ‘ આજ હું બહુ ડિપ્રેસ છુ ‘ પણ એ ઉદાસીની એક માનસિક સ્થિતિ છે અને કામચલાઉ હોય શકે છે પણ જ્યારે આપણે ‘ હોપલેસ ‘ ફિલ કરવા માંડીએ ત્યારે એ ડિપ્રેશનની શરૂઆત ગણી શકાય . શુશાંતે આમ કર્યું હોત કે શુશાંતે તેમ કર્યું હોત તે કહેવું આસાન છે પણ ડિપ્રેસ વ્યક્તિની માનસિક સ્થિતિ જ એવી બની ગઈ હોય છે કે જેમ જેમ એ એમાથી બહાર નિકળવાનું વિચારે એમ એમ કાલ્પનિક ભય અને એકાંતનું આદી થઈ ગયેલું દિમાગ એને એમ કરતાં રોકે છે . એ ખુદ જ સવાલો પૂછે અને ખુદ જ જવાબો આપતો થઈ જાય છે અને કરુણતા એ છે કે મોટાભાગના જવાબો સ્વાભાવિક રીતે એની મનોસ્થિતિ મુજબ નકારાત્મક જ આવવાના .
કરુણતા એ છે કે આપણે ત્યાં ડિપ્રેશન અને ડિપ્રેસ વ્યક્તિને જરૂરી હુંફ ઓછી મળે છે . એવા વ્યક્તિની વાત શાંતિથી સાંભળી બનતી મદદ કરવી એવી ઘટનાઓ ઓછી બને છે કેમકે આપણે ડિપ્રેશનને એક રોગ તરીકે લઈએ છીએ જ્યારે હકીક્તમાં એ એક માનસિક સ્થિતિ છે કે જેનો ઉપાય અને ઈલાજ ભોગ બનનાર પાસે તો ના હોય પણ સાંભળનાર પાસે હોય શકે છે . ભોગ બનનારની નકારાત્મક માનસિકતાને જો તમે થોડા ઘણા અંશે પણ હકારાત્મકતામાં પલટી શકો તો પરિણામ બદલી શકે છે . તકલીફ એ છે કે માણસ ડિપ્રેશનમાં છે એ ઓળખાઈ તો જાય છે પણ પ્રેમ-કુટુંબ કે કેરિયરની એની સમસ્યા પોતીકી ગણીને એનો ઉકેલ શોધવાની કોશિશ ઓછી થાય છે અને એવામાં ડિપ્રેસ ઇન્સાનની નકારાત્મ્ક સોચ વધુને વધુ વધતી જાય છે . ગ્રૂપમાં રહો , વાતચીત કરતાં રહો , મસ્તીથી જીવો , ગમતું કામ કરો , ગમતા લોકો સાથે હળોમળો , વ્યસ્ત રહો આવા અનેકો ઉપાયો ડિપ્રેશનને દૂર કરવા માટે છે જે પણ મુદ્દો એ છે કે ડિપ્રેસ વ્યક્તિને આ બધુ કરવા માટે પ્રોત્સાહિત કરવો એ પણ એક ઈલાજ જ છે . શુશાંત કે દિપીકા જ શું કામ આ તો સર્વવ્યાપી તકલીફ છે . સામાન્ય લોકો આના શિકાર બનતા જ રહે છે . જેટલું અગત્યનું છે તમારા ડિપ્રેશન વિષે કોઈ સાથે વાત કરવાનું એટલું જ અગત્યનું છે આવી વાત કરનાર સાથે સહાનુભૂતિથી વર્તન કરીને શક્ય હોય એટલું એના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં મદદરૂપ થવાનું , એની નિષ્ફળતાને કે કાલ્પનિક ભય ને ભૂલવામાં મદદ કરીને કોઈ બીજા ગોલ – પ્રવૃતિ-પોઝિટિવિટી શોધવાનું …. આવું થઈ શકે તો બની શકે કે એનાથી કોઈ શુશાંત બચી જાય …!!!!
Image : talkspace
– અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” 21 જૂન 2020 )