‘ સિઝન -14 ‘ માં શું છે નવું અને કોની પાસે છે ‘ જીત નો મંત્ર’ !!!!!!
આઈપીએલ -૧૪ તમે આ વાંચતાં હશો એના પાંચેક દિવસ જ દૂર હશે . ગયા વર્ષે તો કોરોનાને લીધે વતન સે દૂર યુએઇ માં આઈપીએલ રમાયેલ પણ ઘરઆંગણે રમવાની જે મજા હોય તે રોમાંચ અને ઉત્તેજના એમાથી ગાયબ હતી . કોરોના તો હજુ પણ છે જ , ઇનફેક્ટ હમણાં તો વધ્યો પણ છે પરંતુ આઈપીએલ ના ચાહકો માટે શુભ સમાચાર એ છે કે આ વર્ષે આઈપીએલ ઈઝ બેક ટુ ઈન્ડિયા ..!!! યસ ૯ મી એપ્રિલે સાંજે 7;30 વાગ્યે ચેન્નઈમાં કરંટ વિજેતા મુંબઈ ઈંડિયંસ અને રોયલ ચેલેંજર બેંગલોર ના મુકાબલા સાથે ક્રિકેટની આ સૌથી માનીતી ટુર્નામેંટ શરૂ થઈ જશે . નો ડાઉટ કોરોનાને લીધે શરૂઆતની મેચોમાં દર્શકોને નો-એન્ટ્રી છે એટલું જ નહીં પણ કોરોનાને લીધે જ આ વખતે આઈપીએલ માત્ર છ જ મેદાનો પર રમાવાની છે પણ ચાહકોને અને ઓફકોર્સ બીસીસીઆઈ ને આશા છે કે કદાચ ટુર્નામેંટના પાછલા મેચોમાં દર્શકોની ચીચયારીથી સ્ટેડિયમો ગુંજી ઉઠશે .
દર વખતની જેમ આ વખતે પણ આઈપીએલ માં કશુક નવું હશે . ખેલાડીઓની વાત પછી કરીએ એ પહેલા એ જાણી લઈએ કે આ વખતે આઈપીએલમાં શું છે નવું ? શું છે આ વખતના ચેંજિસ ? સૌથી મોટી વાત તો એ છે કે આ વખતે કોઈ પણ ટીમના મેચ હોમગ્રાઉંડ પર નહીં હોય એનું એક કારણ તો કોરોના જ છે અને બીજું કારણ એ છે કે આ વખતે આખીયે આઈપીએલ માત્ર છ જ મેદાન અમદાવાદ , બેંગલોર , મુંબઈ , કલકત્તા , દિલ્હી અને ચેન્નઈ પર રમાવાની છે . મૂંબઈમાં તો અત્યારે કોરોનાનો જાલિમ કહેર છે એવામાં મૂંબઈમાં રમાનાર મેચો હેમખેમ પૂરા થાય એની આયોજકોને ચિંતા હશે જ . જો કે આ વખતે પણ ગઈ આઈપીએલની જેમ બાયો-બબલ નો કડક નિયમ છે જ અને એ નિયમોનો કડક અમલ થાય એ માટે દરેક ટીમ સાથે ચાર સભ્યોની ‘ બબલ ઇંટીગ્રીટી મેનેજર્સ ‘ ની વ્યવસ્થા છે જે બાયો-બબલ પર ધ્યાન આપશે . ખેલાડીઓની સુરક્ષા માટે હોટલમાં વધારે ચેક-ઇન કાઊંટર્સ રખાશે , મેચ દરમ્યાન બહાર ગયેલી બોલ ને યા તો બદલી નખાશે યા તો સેનિટાઈઝ કરીને વાપરવામાં આવશે . બીસીસીઆઈ ના ટોચના અધિકારીઓએ ખેલાડીને મળી શકશે નહીં એટલું જ નહીં પણ ખેલાડીઓના પરિવારજનો અને ટીમના માલિકો પણ બાયો-બબલમાં જ રહેશે .
એ જ રીતે આ વખતે વિવાદાસ્પદ ‘ સોફ્ટ સિગ્નલ ‘ નો નિયમ કાઢી નખાયો છે તો 90 મિનિટમાં 20 ઓવર ફરજિયાત પૂરી કરવી પડશે એટલું જ નહીં પણ સુપર ઓવર ટાઈ મેચ પૂરી થયાના એક કલાકમાં જ રમાડવી પડશે એટ્લે જો સ્લો ઓવર રેટ ને લીધે મેચ મોડી થશે તો સુપર ઓવર ના પણ રમાઈ અને બંને ટીમને સરખા પોઈન્ટ આપી દેવાય એવું પણ બને. એ જ રીતે આ આઇપીએલ માં થર્ડ અમ્પાયર શોર્ટ રન નો નિર્ણય આપી શકશે એટલું જ નહીં પણ ગ્રાઉંડ અમ્પાયરના નો-બોલ ના નિર્ણયને ઉલટાવી પણ શકશે . નિયમોની સાથે સાથે મુંબઈ ઈંડિયંસ , રોયલ ચેલેંજર , પંજાબ અને ચેન્નઈએ પોતાની જર્સી પણ બદલી નાખી છે . પંજાબે તો નવી હેલ્મેટની સાથે સાથે ‘ કિંગ્સ ઇલેવન પંજાબ ‘ માં થી ટીમનું નામ જ ‘ પંજાબ કિંગ્સ ‘ કરી નાખ્યું છે , જોઈએ આ નવું નામ પંજાબને ફળે છે કે નહીં ?
પંજાબ નવા નામ અને જર્સીની સાથે સાથે કે.એલ.રાહુલ અને ટી20 સ્પેશીયાલિસ્ટ ડેવિડ મલાન ના ફોર્મ પર પણ મુસ્તાક છે . દરેક વખતની જેમ જ આ આઈપીએલમાં અમુક ખેલાડીઓ સરપ્રાઈઝ સાબિત થઈ શકે છે . આરસીબી ની જ વાત કરીએ તો ગઈ આઈપીએલ નો સ્ટાર દેવદત્ત પડ્ડિકલ , સચિન બેબી , મોહમ્મદ અઝહરૂદ્દીન અને રજત પાટીદાર કોહલીની સેના વતી અચંબિત કરી શકે છે . ચેન્નઈ સુપરકિંગ નો ફાસ્ટર ગૌતમ અને ગઈ આઈપીએલમાં ચમકેલો ઋતુરાજ ગાયકવાડ ધોની ના હુકમના એકકા સાબિત થઈ શકે છે તો ગાવસ્કરે જેના પર દાવ લગાવ્યો છે તે મુંબઈ ઇંડિયનમાં સૂર્યાકુમાર , હાર્દિક , ઈશાન કિશન , રોહિત જેવા ઇન્ફોર્મ ખેલાડીઓની સાથે સાથે 20 વર્ષના સાઉથ આફ્રિકન ફાસ્ટર મારકો જેનસેન અને ઓલરાઉંડર અનુકૂલ રોય પર લોકોની નજર રહેશે અને હા જો તક મળી તો સચિનપુત્ર અર્જુનનું પાણી પણ મપાઈ જવાનું ..!!! ૨૦૧૪ પછી આઈપીએલ રમતા ચેતેશ્વર પૂજારા , ચેતન સાકરિયા અને શેલડન જેક્સન પણ કઈક કરી છૂટવા રેડી જ છે. સનરાઇઝરનો અબ્દુલ સમદ ગઈ આઈપીએલ ની તોફાની બેટિંગ ચાલુ રાખી શકે છે તો રાજસ્થાન રોયલે 5.25 કરોડમાં ખરીદેલ શાહરુખખાન અને તીવેટિયા અને પંજાબના રવિ બિશનોઈ પણ પોતાની ઉપસ્થિતિ પુરવાર કરશે . આઈપીએલ શરૂ થતાં પહેલા જ ખેલાડીઓની ઇજાઓ અને બીજા સમાચારો ટીમને હેરાન કરી રહ્યા છે . શ્રેયસ ઇજાગ્રસ્ત થતાં દિલ્હીની કમાન રિષભ પંતને મળી છે . શ્રેયસની ગેરહાજરી દિલ્હી માટે ફટકા સમાન છે તો આ જ દિલ્હીને પાકિસ્તાન સામેની વન-ડે માં રમવાનું હોવાને લીધે શરૂઆતી મેચોમાં સાઉથ આફ્રિકન આધારભૂત બોલર રબાડા અને નોર્ખીયાની સેવાઓ નહીં મળે . યાદ રહે ગઈ સિઝનમાં આ બન્ને દિલ્હીના ટોપ વિકેટટેકર બોલર્સ હતા . સાઉથ આફ્રિકા પાકિસ્તાન વન-ડે સિરીઝમાં રમવાના હોવાના લીધે મુંબઇને પણ ડી કોક અને ચેન્નઈને એંગીડી ની સેવાઓ થોડા મેચો માટે નહીં મળે . બન્ને ટીમના આ સ્ટાર ખેલાડીઓ છે . એ જ રીતે ઇજાગ્રસ્ત જોફ્રા આર્ચરને રાજસ્થાન રોયલ્સ મીસ કરશે એટ્લે બોલિંગ આક્રમણની જવાબદારી આઈપીએલ ના ઈતિહાસમાં 16.25 કરોડ કિમત સાથે સૌથી મોંઘા ખેલાડી બનેલા ક્રિસ મોરીસ પર રહેશે .
ક્રિસ ગેલ , હરભજન , ઈમરાન તાહિર , અંબાતી નાયડુ જેવા ખેલાડીઓ માટે કદાચ આઈપીએલ ની આ છેલ્લી સિઝન હોય શકે છે . એમ તો જો ચેન્નઈ ટુર્નામેંટ જીતે અથવા ફાઈનલમાં આવે તો ધોની પણ નિવૃતિની જાહેરાત કરી શકે છે કેમકે ક્રિકેટના બધા આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાથી નિવૃતિ જાહેર કરી ચૂકેલ ધોની માટે જીતની એ પળ આઈપીએલને રામ-રામ કરવા માટે ઉત્તમ હશે . ‘ ક્રિકેટ ઈઝ એ ફન્ની ગેમ ‘ એ ન્યાયે કોઈ પ્રિડિક્ષન કરવું મુશ્કેલ છે પણ મોટાભાગના વિવેચકો અને ચાહકો મુંબઇને વિજેતા ગણે છે પણ રસપ્રદ વાત એ છે કે મુંબઈ પછી જો કોઈ ટીમના ચાંસિસ વધુ ગણાવતા હોય તો તે બેંગલોર છે . મુંબઈ પછી સૌથી વધુ બેલેન્સ ટીમ બેંગલોર છે . ધોની ભલે જાહેરાતમાં જીતનો મંત્ર આપતો હોય પણ એની ટિમ પ્રોબેબલ વિજેતા લીસ્ટમાં દિલ્હી પછી ચોથા સ્થાને આવે છે . કેમકે રાયડું , રૈના અને ખુદ ધોની તેમજ થોડા સમયથી જાડેજા ક્રિકેટથી દૂર છે અને ટીમના બીજા બેટ્સમેનો પણ ખાસ કઈ ફોર્મમાં છે નહીં . સામે ધવન , પંત, પૃથ્વી , રાહને વાળું દિલ્હી દમદાર લાગે છે . એમ તો ઇન્ફોર્મ બેરસ્ટો , ભૂવી , રશિદ અને નટરાજનવાળી અને ગઈ સિઝનમાં સોલીડ દેખાવ કરનાર સનરાઇઝર્સ પણ ઊલટફેર કરી શકે છે . આ તો આઈપીએલ છે અહી કોઈ ટીમને ઓછી ના અંકાય ચાહે એ પંજાબ હોય , કલકત્તા હોય કે રાજસ્થાન હોય અને આઈપીએલ ની આ જ મજા છે . શોર્ટ ફોર્મેટની આ ક્રિકેટ ફાઇટમાં કુછ ભી હો શકતા હૈ ….!! તો તૈયાર થઈ જાવ બાવન દિવસ ક્રિકેટના આ મહા-કાર્નિવલને માણવા .
- અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” 4 એપ્રિલ 2021 )