તાલિબાન ૨.૦ : અંધકારમાં અફઘાનિસ્તાન , દહેશતમાં દુનિયા !!
વિયેતનામમાં કરારી હાર પછી અફઘાનિસ્તાન પર તાલિબાનોનું શાશન અમેરિકી ઈતિહાસમાં બીજું કાળું પ્રકરણ લખી ચૂક્યું છે . જગત જમાદારે મિત્રો સાથે મળીને મોટા ઉપાડે 20 વર્ષ પહેલા શરૂ કરેલી સો કોલ્ડ લોકશાહી સ્થાપવાની અને આતંક વિરુધ્ધની લડાઈ અચાનક જ સંકેલીને પોતાની એકતરફી હાર તો સ્વીકારી જ છે પણ સાથે સાથે અફઘાનિસ્તાનની જનતાને એક ઊંડા અને અનિર્ણિત અંધકારભર્યા કૂવામાં પણ ધકેલી દીધી છે . અમેરિકન મીડિયા અને પ્રજામાં ઓલરેડી આવા અચાનક નિર્ણયની આકરી ટીકા થઈ રહી છે . 20 વર્ષો જેવો લાંબો સમય , ૬૧ લાખ કરોડ જેટલા અધધધ કહી શકાય એટલા નાણાંનો ખર્ચ , ૨૩૦૦ થી વધુ અમેરિકી સૈનિકોનાં જીવના બદલામાં અમેરિકા અને મિત્રદેશોના હાથમાં હારના કોળીયા સિવાય કશું નથી આવ્યું . વીતેલા આ ૨૦ વર્ષોમાં અફઘાનિસ્તાનના અંદાજે એક લાખથી વધુ નાગરિકો અને ૬૦૦૦૦ થી વધુ અફઘાન સલામતી સૈનિકો માર્યા ગયા એ લટકામાં . તાલિબાનને ભલે ક્રૂર , હિંસક અને આતંકવાદી સંગઠન ગણાવાતું હોય છતાં એ હકીકત છે કે લગભગ ૬૦૦૦૦ જેટલા તાલિબાની લડવૈયાઓએ અમેરિકાને ઘૂંટણીયે પાડીને અફઘાનિસ્તાન છોડવા મજબૂર કર્યું છે જેમાં અફઘાની શાસનનો ભ્રષ્ટાચાર અને અમેરિકી ખુફિયા એજન્સીની નાકામીની સાથે સાથે તાલિબાનોએ ચાલુ રાખેલા આક્રમણો પણ કારણભૂત છે .
ખેર અમેરીકામાં ‘ અફઘાનિસ્તાનમાં આપણે શું મેળવ્યું ? ‘ એની ચર્ચા તો ઘણા વખતથી ચાલે છે અને હજુ ચાલવાની પણ અફઘાનિસ્તાનની જનતા હવે એક એવા યુગમાં પ્રવેશી ચૂકી છે જ્યાં અત્યારે તો અંધકાર સિવાય કશું દેખાતું નથી . ૧૯૯૬ થી ૨૦૦૧ સુધી શાસન કરનાર તાલિબાનોના ઈસ્લામિક શાસન સ્થાપવાના મનસૂબાઓની યાદ હજુ અફઘાનિસ્તાનની જનતાના દિલો દિમાગમાં છે અને એક પછી એક પ્રાંત અને શહેરો પર કબ્જો કરનારા તાલિબાનોના તાજેતરનાં પગલાઓ એ વાતનો સંકેત છે કે અફઘાનિસ્તાન ફરી એકવાર આઝાદીની હવા ગુમાવવાનું છે . સત્તાના સૂત્રો હજુ સંભાળવાના બાકી છે એ પહેલા તો ઈસ્લામિક લો લાગુ કરવાની તાલિબાનોની જાહેરાત છેલ્લા થોડા વર્ષોમાં અફઘાનિસ્તાનમાં થયેલી પ્રગતિ અને વિકાસને રૂંધવા માટે કાફી છે . મહિલાઓ પર અત્યાચારો માટે તાલિબાનો કુખ્યાત છે જો કે આ વખતે તાલિબાને એમ કહીને નરમ વલણ બતાવ્યુ છે કે મહિલાઓને કામ કરવાની આઝાદી મળશે , મહિલાઓ સ્કૂલે જાય એમાં અમને કોઈ વાંધો નથી પણ આ બધુ ઈસ્લામિક કાયદાની અંતર્ગત જ થશે . અફઘાનિસ્તાનમાં કાબુલ જેવા મોટા શહેરને બાદ કરતાં મહિલાઓની સ્થિતિ દયનીય છે. તેમના પર અત્યાચારો અને દમનના સમાચારો તો અત્યારથી જ મળી રહ્યા છે એવામાં સૌથી વધુ જો કોઈ ભયમાં હોય તો એ મહિલાઓ જ છે . યુનાઈટેડ નેશન્સની રેફયુજી એજન્સીના એક અહેવાલ મુજબ મે મહિનાથી અફઘાનિસ્તાન છોડી જનાર લોકોની સંખ્યામાં ૮૦% સ્ત્રીઓ અને બાળકો જ છે .
કાબુલ પર કબ્જા પછી યોજાયેલી પહેલી પત્રકાર પરિષદમાં દુનિયાએ તાલિબાનોના બદલાયેલા ચહેરાને જોયો . મહિલાઓના હક્ક અને જગતના કોઈ દેશોને અમે નડીશું નહીં એવું કહેતા તાલિબાન પ્રવકતા પર દુનિયા કોઈ સંજોગોમાં વિશ્વાસ કરી શકે એમ છે નહીં , એટલિસ્ટ અત્યારે તો નહીં જ કારણ કે હજુ તો સત્તાના સૂત્રો સાંભળ્યા નથી ત્યાં જ દેશમાં ખુનામરકી , દમનનો દોર શરૂ થઈ ગયો છે . નેશનલ ટીવી પર મહિલા એન્કરો પર પ્રતિબંધો લગાવી દીધા છે. ટીવી પર વિદેશી શોનું ટેલિકાસ્ટ રોકી દેવામાં આવ્યું છે. સરકારી ચેનલોથી ઈસ્લામી સંદેશ આપવામાં આવી રહ્યા છે. પણ સાથે સાથે એ પણ હકીકત છે કે તાલિબાનો એ વાત બહુ સારી રીતે જાણે છે ૨૦૦૧ કરતાં ૨૦૨૧ ઘણું અલગ છે અને દુનિયાના ટેકા વગર એમનું શાસન વધુ લાંબુ ચાલસે નહીં અને જો શાસન લાંબુ ચલાવવું હોય તો ઉદાર ચહેરો આગળ રાખવો પડશે. ચીન કે પાકિસ્તાન જેવા દેશોની માન્યતાના જોર પર તાલિબાનો વિશ્વસમૂહ સાથે ભળી શકે નહીં એટલું જ નહીં પણ પશ્ચિમી દેશોની સહાય વગર પણ આ શક્ય નથી અને આ બધા માટે એમણે પહેલા દેશની જનતાનો વિશ્વાસ કેળવવો પડે . 20 વર્ષો પહેલાના અફઘાનિસ્તાન કરતાં આજનું અફઘાનિસ્તાન ઘણું જુદું છે . જો કે તાલિબાનોની વિચારધારમાં કોઈ બદલાવ નથી આવ્યો . પણ તાલિબાનોના આ અમુક અંશે બદલાયેલા ચહેરાની સાચી ખબર તો 6-7 મહિના ગયા પછી જ પડશે પણ આવનારા ભાવિના એંધાણ તાલિબાની નેતા વહીદુલ્લાહ હાશ્મીએ કહેલી આ વાત પરથી આવી જાય છે કે અફઘાનિસ્તાનમાં કોઈ લોકતાંત્રિક વ્યવસ્થા નહીં થાય. કારણકે અહીં એ જરૂરી નથી . મતલબ અફઘાનિસ્તાનમાં શરિયા કાયદો જ ચાલશે.
દુનિયાને ઉચ્ચકજીવ રહેવાનુ એક બીજું કારણ છે તાલિબાનોનું આતંકી જૂથો સાથેનું જોડાણ . લાદેન નું ઉદાહરણ નજર સામે જ છે એટલું જ નહીં પણ પાકિસ્તાન અને ચીનનો સ્પોર્ટ એ વાતનો સંકેત છે કે અફઘાનિસ્તાનની જમીન પર આતંકી પાઠશાળાઓ વધુ જોશથી ખૂલવાની . બીજું કે છેલ્લા થોડા વર્ષોથી આઝાદીની હવા ખાઈ ચૂકેલા ઘણાબધા અફઘાન નાગરિકો તાલિબાનોનો વિરોધ કરી રહ્યા છે . મંગળવારે હાથમાં પોસ્ટરો લઈને તાલિબાનોનો વિરોધ કરતી મહિલાઓની તસ્વીરો દુનિયાએ જોઈ . અફઘાનિસ્તાનની અંદર પણ પંજશેર ખીણમાં તાલિબાનો સામે વિરોધ નોંધાય રહ્યો છે ભલે કદાચ મુઠ્ઠીભર હોય તો પણ બદલાયેલા જમાનામાં બંદૂકની અણીએ તાલિબાનો આ વિરોધ ક્યાં સુધી દબાવી શકશે એ એક પ્રશ્ન છે . સામે છેડે તાલિબાનો અમેરિકાની તાકાતને પણ ઓળખે છે , ભલે અમેરિકી સેનાની એકતરફી પીછેહઠ હોય પણ અમેરિકાએ એરસ્ટ્રાઈકનો વિકલ્પ ખુલ્લો રાખેલો જ છે એટલું નહીં પણ કાબુલ એરપોર્ટ પર ચાલી રહેલી અફરાતફરી પર પણ અમેરિકી સૈનિકોની લગામ છે પણ અમેરિકા અને મિત્રદેશો આ બધુ પોતાના નાગરિકો કે લોકોની અફઘાનિસ્તાનમાથી સુરક્ષિત વાપસી સુધી જ ચાલુ રાખવાના છે એ હકીકત છે . બીજી તરફ તાલિબાનોમાં અંદરોઅંદર પણ સત્તાની લડાઈ ચાલી રહી છે . તેમની પાસે હજુ સત્તાનો કોઈ રોડમેપ તૈયાર નથી . આધુનિક જમાનામાં ઈસ્લામિક લો કેવી રીતે લાગુ કરાશે એનું કોઈ વિઝન કે લોઝીક અત્યારે તો દેખાતું નથી , એવામાં અફઘાનિસ્તાન અત્યારે અંધાધૂંધીભર્યા તબક્કામાં ધકેલાઇ ગયો છે .
જ્યાં સુધી ભારતને લાગેવળગે છે ત્યાં સુધી ચોક્કસપણે ભારતે એક વ્યૂહાત્મ્ક ભાગીદાર ગુમાવ્યો છે . આ લખાય છે ત્યારે સમાચાર મળે છે કે તાલિબાને ભારત સાથેના વ્યપાર અટકાવી દીધા છે . અત્યારે તો તાલિબાન સરકાર સાથે ભારતને કોઈ મનમેળ થશે એવી શક્યતા દેખાતી નથી અને ખાલી ભારત જ શુકામ પણ જગતના બીજા દેશો પણ તાલિબાનના ભૂતકાળને લઈને ખફા છે જ . ચીન , પાકિસ્તાન , રશિયા જેવા દેશો પોતપોતાના ફાયદા માટે તાલિબાનોનો ઉપયોગ કરવાના એ નક્કી છે . તાલિબાનોના આઈએસઆઈ , અલ-કાયદા જેવા આતંકી નેટવર્ક સાથેનો મનમેળાપ ભારતને પણ નડી શકે છે અને જેમ અમેરિકાને ૯/૧૧ ના રૂપે તાલિબાનોને ઉછેરવાનો બદલો મળેલો એમ આ બંને દેશોને પણ મળી શકે છે . આ લખાય છે ત્યારે શુક્રવાર સુધીમાં અમેરિકન શસ્ત્રો , વાહનો અને સરકાર તાલિબાનોના કબજામાં છે . અફઘાનિસ્તાની સેનાના કમાન્ડરો , સૈનિકો ની હત્યા થઈ રહી છે અને હાથમાં ના આવનારને ઘેર ઘેર ફરીને શોધવામાં આવી રહ્યા છે . અફઘાન નાગરિકોને દેશ બહાર જવા દેવામાં આવતા નથી . અફઘાનિસ્તાનના રાષ્ટ્રધ્વજ ફરકાવનારા પર ગોળીબાર થઈ રહ્યો છે . અત્યારે તો દુનિયા એટલું જ ઇચ્છી રહી છે કે અફઘાનિસ્તાનમાં ખુનામરકી અટકે અને સુશાસન આવે , જેની શક્યતા નજીકના ભવિષ્યમાં તો બહુ ઓછી છે .
- અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર -કૉલમ ” રઝળપાટ ” 22 ઓગષ્ટ 2021 )