નશાની નાગચૂડ : છૂટવું જરૂરી છે ………!!!!!!!
“ ખબર એવી છે કે શુશાંત કેસની આ ડ્રગ લિંક પર એનસીબીની તપાસમાં એવા 20
લોકોના નામ સામેલ છે કે જેમાં અભિનેતાઓ , અભિનેત્રીઓની સાથે સાથે નેતાઓ ,
ડ્રગ ડિલરો પણ સામેલ છે . કંગનાના મતે આ એક વ્યવસ્થિત રેકેટ છે અને બધાના
‘ આશીર્વાદ ‘ થી પૂરબહારમાં ચાલે છે . વાત રીયા અને એના ભાઈ શૌવીકથી શરૂ
થઈ છે પણ આનો છેડો બહુ દૂર સુધી જઇ શકે છે . “ ગયા વર્ષે શુશાન્તના
અપમૃત્યુ અને એની સાથે જોડાયેલા સો-કોલ્ડ ડ્રગ એંગલની વાત કરતાં લખેલા
લેખના સમાપનમાં આવી વાત લખેલી અને એ લખતી વખતે એક વાતની ખાતરી હતી કે આ
વાત બહુ જલદી સાચી પણ પાડવાની છે . આજે જ્યારે શાહરુખ પુત્ર આર્યન આવા જ
એક ડ્રગ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે અને શાહરુખ અને એના વકીલો
જમાનતના એક પછી એક નિષ્ફળ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ચર્ચાનો સમગ્ર
મુદ્દો આર્યને ડ્રગ લીધું છે કે નહીં એ નહીં પણ એ પોતે ડ્રગની લેવડ-દેવડ
અને ખરીદ-વેચાણમાં સંડોવાયેલો છે કે નહીં એના પર જ આખી બાજી અત્યારે તો
રમાઈ રહી છે . જો કે સમાચારો મુજબ આર્યને ખુદ કબુલેલું છે કે એ ચાર
વર્ષથી ડ્રગ લે છે . હવે વાત સિમ્પલ છે કે જો તમે ચાર વર્ષથી ડ્રગ લેતા
હોવ તો સ્વાભાવિક છે કે એ ડ્રગ ક્યાંકથી તો ખરીદતા હોવ જ ..!!! બસ ,
શાહરુખ પુત્રનો પેચ અહી જ ફસાયેલો છે ..!!!!!
આર્યનની જમાનતનો ફેંસલો કદાચ 20 મી ઓક્ટોબરે આવશે કે કદાચ હજુ પણ વધુ
લંબાશે એ તો આવનારો સમય કહેશે પણ હકીકત એ છે કે ગયા વર્ષે બનેલા શુશાન્ત
કેસમાં પણ બોલિવૂડનું ડ્રગ સ્કેન્ડલ ઝળકેલું અને આ વખતે પણ . સી , બધી
વખતે કાઇ જોગાનુજોગ તો ના જ હોય ને ? નાદાન છે .. ભૂલ થઈ ગઈ .. જેવા બચાવ
નિવેદનો કરનારા સો-કોલ્ડ સેલેબ્સને એ ખબર હોવી જોઈએ કે એક તો
નેતા-અભિનેતા કે કોઈ પણ પ્રકારના જાહેરજીવનમાં પડેલા લોકોને અસંખ્ય લોકો
રોલ મોડેલ માનતા હોય છે એવામાં આવા લોકોની જવાબદારી બને છે કે સમાજમાં
એમના આચરણથી કોઈ ખોટો સંદેશો ના જાય . અને એમાં પણ આ તો પેઢીઓ તબાહ કરી
નાખે એવો ડ્રગનો મામલો છે . ડ્રગ કેસમાં બોલિવૂડનું કોઈ ફસાય કે એનું
નામ આવે એટલે સ્વાભાવિક છે કે આપણી આંખો ચાર થાય અને કાન સરવા . પણ
હકીકત એ છે કે ડ્રગનો દાનવ ભારતને બરાબર ભીંસમાં લઈ રહ્યો છે અને એ દાનવ
એટલી ઝડપે ભરડો લઈ રહ્યો છે કે વહેલી તકે જાગવું જરૂરી છે . છાપા-ટીવીમાં
શાળા-કોલેજો બહાર બિન્દાસ્ત વેચાતા ડ્રગ્સ અને એને લીધે બરબાદ થતાં
લોકોની કહાણીઓ આપણે રોજ વાંચી છીએ .
શુશાન્ત વખતે અને એ પહેલા પણ
જેટલી વાર ડ્રગ્સ અને બૉલીવુડનું નામ સાથે લેવાયું એટલી વાર દેશમાં
ડ્રગના વધતાં જતાં દૂષણ પર ચર્ચાઓ ચાલતી રહેલી . દેશમાં ડ્રગ અને એના
વેપારની વાત આવે એટલે પંજાબનું નામ પહેલા લેવાય એટલી હદે પંજાબમાં
ડ્રગનું માર્કેટ વિસ્તરી ચૂક્યું છે એ હકીકત છે . ‘ ઉડતા પંજાબ ‘ ફિલ્મ
વખતે પૂરજોશમાં વિરોધ કરનારાઓ પણ છાનેખૂણે એક વાત કબૂલે છે કે પંજાબ
ભારતમાં ડ્રગનું એક મોટું હબ બની ચૂક્યું છે . પણ એની સાથે સાથે એ પણ
હકીકત છે કે મુંબઈ પણ ડ્રગનું મોટું કેન્દ્ર બન્યું છે . ગયા વર્ષે
નાર્કોટિક કંટ્રોલના એક અધિકારીએ અનુમાન લગાવેલું કે મુંબઈ અને એની
આસપાસના ઇલાકાઓમાં દર મહિને લગભગ 500 કિલો મારીજુઆના વેચાય છે અને
ડ્રગમાફિયા દર મહિને લગભગ 500 કરોડનું ટર્નઓવર કરે છે . સ્વાભાવિક છે કે
આમાં કાઇ એકલા બૉલીવુડનું યોગદાન ના જ હોય પણ બીજા લોકો પણ સામેલ હોવાના
જ . આમ ભલે સિક્કિમ , દિલ્હીની સાથે પંજાબનું નામ દેશના બીજા સેન્ટરો
સાથે મોખરે લેવાતું હોય પણ હકીકત એ છે કે મુંબઈ ડ્રગનું રિટેલ સેન્ટર બની
ચૂક્યું છે .
આયે દિન મુંબઈના પોર્ટ પરથી કે
કોચીન જેવા એરપોર્ટ પરથી હેરોઇન પકડાઈ રહ્યું છે એટલું જ નહીં પણ હમણાં જ
ગુજરાતનાં અદાણી પોર્ટ પરથી અબજો રૂપિયાનું ડ્રગ પકડાયું કે જેને ટેલકમ
પાઉડરના નામે દેશમાં ઘૂસાડવામાં આવનાર હતું કે કંડલાથી ક્યાંક બીજે
મોકલવામાં આવનાર હતું . મુંબઇમાં ક્રૂઝ પર જે કોઈ પકડાયા એના કરતાં આ અતિ
ગંભીર બાબત છે અને એની તપાસ થઈ રહી છે . ગયા વર્ષે ઓગષ્ટમાં મુંબઈના
પોર્ટ પરથી 1000 કરોડનું ડ્રગ પકડાયેલું એ પછીથી કંડલામાં પકડાયેલા
ડ્રગ્સની કિમત અધધધ કહી શકાય એટલી 21000 કરોડ હતી . ભારતના પશ્ચિમી
કિનારાઓ પર પકડાતાં આ ડ્રગ્સ એ વાતની સાબિરતી આપે છે કે મહારાષ્ટ્ર સીવાય
ગોવા કે ગુજરાતમાં પણ આની ડિમાન્ડ કે પછી વેપારની એક લિન્ક છે અથવા તો
અહીથી દેશ કે વિદેશમાં બીજે સપ્લાય કરવામાં આવી રહ્યું છે . નાર્કોટિક
અધિકારિઓનું કહેવું છે કે મુંબઇમાં આનો વ્યાપ એટલા માટે વધુ છે કે અહી
ડ્રગ્સની ઊંચી કિમત મળે છે પણ એનો અર્થ એવો નથી કે દેશના બીજા ભાગોમાં પણ
આ દૂષણ ઓછું છે . દિલ્હી , ગોવા , નોર્થ-ઈસ્ટ , મુંબઈ અને પંજાબ માં
ડ્રગની માયજાળ વધુ વિસ્તરી ચૂકી છે . 2016 માં રાજ્યસભામાં મુકાયેલા એક
રિપોર્ટ મુજબ નશાને લીધે થતી આત્મહત્યાઓમાં પંજાબ , મધ્યપ્રદેશ ,
મહારાષ્ટ્ર , કેરળ , તામિલનાડુ મોખરે છે . ખાલી પંજાબની જ વાત કરી તો
આધિકારિક આંકડાઓ મુજબ એકલા પંજાબમાં 2019 માં પકડાયેલ 460 કિલો હેરોઇન ની
સામે 2020 માં 759 કિલો હેરોઇન પકડાયેલું . આ વધતાં આંકડાઓ ખાલી પંજાબ
માટે નહીં પણ સમગ્ર દેશ માટે પણ ચિંતાજનક છે જ . બધા જાણે છે એમ
અફઘાનિસ્તાન આ નશાના વાવેતરનું એપિક સેન્ટર છે . હમણાં સુધી ત્યાં સો
કોલ્ડ સરકાર હતી તો પણ નશાની આ ઊપજ બેરોકટોક ચાલુ હતી અને વિશ્વમાં
પહોંચાડાતી હતી જયારે હવે તો ત્યાં તાલિબાની સરકાર છે અને બધા જાણે છે એમ
અફઘાનિસ્તાનની આવકમાં અફીણ-ગાંજાની આવક ખૂબ મોટી છે . અને આમેય
હિન્દુસ્તાન અફઘાનિસ્તાનથી નજીક હોવાને લીધે નશાના આ કાળા કારોબારનું
જાણ્યે -અજાણ્યે ભાગીદાર બનતું જાય છે . અફઘાનિસ્તાન , મ્યાનમાર ,
પાકિસ્તાન , નેપાળ આવા વિવિધ રસ્તે ડ્રગ્સ દેશમાં ઘૂસાડાય છે .
એવું નથી કે સરકાર
નશાના આ કારોબારને રોકવા કોઈ પગલાં લેતી નથી . શુશાન્ત વખતે પ્રકાશમાં
આવેલા બૉલીવુડ કનેક્શન પછી અને પહેલા પણ એનસીબી એ ડ્રગ પેડલરો વિરુધ્ધ
કડક કાર્યવાહીઓ કરેલી જ છે . છેલ્લા ચાર વર્ષોમાં નશાના અપરાધીઓને સજા
આપવાના કેસમાં 11% નો વધારો થયો છે અને લગભગ 80% ઉપરના કેસોમાં સજાઓ પડી
છે પણ એની સાથે ચિંતાની વાત એ પણ છે કે પાછલા ત્રણેક વર્ષોમાં
ડ્રગ્સનું બજાર ભારતમાં અધધધ કહી શકાય એવું 455% જેટલું વધી ચૂક્યું છે .
એનસીબી અને સરકાર પોતાની રીતે પ્રયત્નો કરે જ છે પણ હકીકત એ છે કે નશાના
મૂળમાં જવાની જરૂરૂ છે . આર્યન જેવાના થ્રુ નશાના કારોબારીઓ પર સિકંજો
કસાય એ જરૂરી છે . પીધેલા પકડાય અને બુટલેગરો છૂટતા ફરે તો દેશને નશાની
ચુંગાલમાંથી કોઈ બચાવી નહીં શકે એટલું જ નહીં પણ કંડલા અને એના જેવા બીજા
સ્થળોથી પકડાતાં અધધધ ડ્રગ્સની નિષ્પક્ષ તપાસ કરીને ગુનેગારોને કડક માં
કડક સજા મળતી થશે ત્યારે જ દેશના યુવાનો નશાની આ નાગચૂડ માંથી મુક્ત બનશે
- અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” 17 ઑક્ટો 2021 )