બલિહારી ગુરુ આપકી , ગોવિંદ દિયો બતાય………!!!!!!!
ટીવીના પરદે કે વર્તમાનપત્રના પાનાઓ પર ઉજાગર થતી ગુરુઓની લંપટલીલા વખતે એના શિષ્ય હોવાનો ક્ષોભ અનુભવતા લોકોથી લઈને કોઈ ગેંગસ્ટરને પકડનાર બહાદુર પોલીસ ઓફિસર કે અચાનક ઘરે આવીને ગુરુના પગ પકડી લેનાર સફળ શિષ્યના ગુરુ હોવાના ગૌરવ જેવી બે સામસામા છેડાની ઘટનાઓમાં પણ લ.સા.અ. જો કોઈ હોય તો એ છે ગુરુ . !!!! ગુરુ બોલે તો તમને સાચી દિશામાં લઈ જવાની કોશિશ કરનાર ….જી હા, કોશિશ કરનાર એટલા માટે લખ્યું છે કે મારા ને તમારા બધાના જીવનમાં આવેલા ગુરુઓને એક પળ માટે આંખ વીંચીને યાદ કરશો તો દેખાઈ આવશે કે ગુરુ તમને રસ્તો બતાવી શકે , બહુ બહુ તો એ રસ્તા પર ચાલી શકવા માટે કઈ ક્ષમતાની જરૂર પડશે એનું જ્ઞાન આપી શકે પણ એ રસ્તે ચાલવું તો તમારે જ પડે , અને હા જો એ રસ્તે સફળતાપૂર્વક અને સરળતાપૂર્વક ચાલી શકો તો ક્યાક ને ક્યાક એટલું યાદ રાખજો કે આ સફળતા અને આ સરળ રસ્તા માટે તમારી મહેનત , નિસ્બત અને નસીબની સાથે સાથે ભાગ ભજવનારા અનેકો પરિબળો કે વ્યક્તિઓમાથી એક છે તમારા ગુરુ…!!!!
ગુરુપૂર્ણિમા આજે છે તો ગુરુ પ્રત્યેના આદર અને આભારની આલબેલ પોકારવી જેટલી જરૂરી છે એટલું જ જરૂરી એ પણ છે કે તમે ક્યાં અને કેવા ગુરુની પસંદગી કરેલી . સી , જનરલી ગુરુ વિષે એમ કહી શકાય કે આપણાં પ્રથમ ગુરુ આપણાં શિક્ષક છે . જો કે આપણાં પહેલા ગુરુ તો આપણાં માતા-પિતા જ રહેવાના , ને એમાયે માં ખાસ . જન્મથી માંડીને ભણવા બેસો ત્યારે મળતા શિક્ષકરૂપી ગુરુ સુધીની યાત્રાની શરૂઆત તો મા દ્વારા મળતા જ્ઞાન થી જ થાય છે ને ..!! જીવનના દરેક તબક્કે તમે કોઈ ને કોઈ પાસેથી કઈક ને કઈક શિખતા જ રહો છો એ રીતે જોવા જાવ તો એ દરકે તમારા ગુરુ જ થયા પણ ઈન્સાનના જીવનમાં મહત્વના ગુરુઓ માતા-પિતા અને શિક્ષક નું સ્થાન હમેશા અગ્રિમ જ રહેવાનુ . માતાએ આપણને જન્મ આપ્યો અને આ સુંદર જગત દેખાડ્યુ એટલું જ નહીં પણ સંભાળ સાથે ઉછરવાની શિક્ષા આપી તો પિતાએ આપણી આંગળી પકડી ને આપણને શાળાના પગથીયાં સુધી મુકી ગયા ત્યાથી લઈને જીવનમાં હરેક મોડ – હરેક ઘટના વખતે સહકાર –સલાહ અને સ્પોર્ટ આપ્યો .
“ ગુરુ ગોવિંદ: દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી , ગોવિંદ દિયો બતાય ” આ બહુ જાણીતા ગુરુવાક્યમાં ગુરુ અને ગોવિંદની વાત છે પણ ડગલે ને પગલે કશુક ને કશુક જેમની પાસેથી શિખતા રહીએ છીએ એ પણ ગુરુ જ તો છે , હા અગેઇન સવાલ એ આવીને ઊભો તો રહેવાનો જ કે તમે ક્યાં અને કેવા ગુરુની પસંદગી કરો છો . સી , બચપનમાં તમારી એવી સમજ પણ નથી હોતી કે એવી કોઈ ચોઈસ પણ નથી હોતી કે તમે તમારા ગુરુ પસંદ કરી શકો પણ જીવનમાં જેમ જેમ આગળ વધતાં જાવ એમ એમ ગુરુની પસંદગીની વિવિધ શક્યતાઓ મળતી જાય છે . એમ કહેવાય છે કે કોઈ ગુરુ કેવા છે એની જાણ એ ગુરુના શિષ્યો કેવા છે એના પરથી આવી જાય છે . આ વિધાન બધા ગુરુ પર સાંગોપાંગ લાગુ તો નથી પડતું પણ હકીકત એ છે કે ઘણા બધા બનાવો અને ગુરુઓના સારા-નરસા કાર્યો વખતે મનમાં અચૂક આ વિધાનનો પડઘો જરૂરથી પડતો જ હોય છે . જો કે એવું જરૂરી નથી કે નરસા શિષ્યના ગુરુ પણ એવા જ હોય કે વાઇસ-એ-વર્સા . ઘણા ગુરુ શિષ્યોને કારણે વગોવાતા હોય છે તો ઘણા શિષ્યો ગુરુને લીધે , પણ એનાથી ગુરુ-શિષ્યની પરંપરા પર કોઈ સવાલ ઉઠાવી શકે નહીં .
ગુરુપૂર્ણિમા ગુરુ પ્રત્યેના પ્રેમ , આદર અને ઋણ ચૂકવવાનો દિવસ છે અને આનંદની વાત એ છે કે ભારતીય સંસ્કૃતિમાં એનું સારું મહત્વ છે . પશ્ચિમી સંસ્કૃતિમાં ગુરુનું નહીં પણ વિજ્ઞાન અને વિજ્ઞાપનનું મહત્વ છે . તમે જેને ગુરુ ગણતાં હોવ તેના મુખેથી એક વાક્ય તો અચૂક સાંભળ્યુ જ હશે કે ‘ હું તમને આ શીખવાડી શકું પણ ક્યાં અને ક્યારે વાપરવું એ તમારા દિમાગ પર આધાર રાખે છે ‘ શિક્ષણની જ વાત લઈએ તો આજકાલ ભલે ગુરુ બનવાના ફદિયા વસૂલાતા હોય અને ગુરુ બનવું કે કોઈને ગુરુ બનાવવા એ પ્રચાર કે પ્રસિધ્ધિથી લઈને ગર્વ કે ભક્તિનો વિષય બનતો જતો હોય પણ ગુરુ બનવા જેટલું જ મહત્વનુ છે ગુરુ બનાવવા . આ ‘ ગુરુ બનાવવા ‘ વાળું ચેપ્ટર આપણાં જીવનમાં પછીથી આવે છે . ઘણીવાર શું થાય કે બીજાની ગુરુભક્તિ જોઈને આપણે પણ એ ગુરુ વિષેના પ્રચાર કે બીજા કોઈ માધ્યમથી ગુરુ તરફ આકર્ષાઈને ગુરુ તો બનાવી લઈએ છીએ પણ પછી ગુરુને જાણવા જેવી અગત્યની વિધિ એમાં મિસિંગ થઈ જાય છે અને પાછળ રહી જાય છે માત્ર ને માત્ર અંધભક્તિ કે ગાડરિયાભક્તિ ..!!
જી હા અહી ભક્તિ આધ્યાત્મિક કે ધાર્મિક ગુરુઓના સંદર્ભમાં વપરાયું છે પણ આપણે એ સંવેદનશીલ સબજેક્ટને બાજુમાં રાખીને એવા ગુરુઓની વાત કરીએ કે જેમનો પ્રભાવ , જેમની અસર તમારા જીવનના બેટરમેંટમા રહેલો છે . શાળાથી બહાર નીકળીને જીવનના ઝંઝાવાતમા એન્ટ્રી માર્યા પછી ધધા કે નોકરીમાં તમને ગાઈડ કરનાર . દિશા બતાડનાર , કશુક શીખવાડનાર એ બધા જ લોકો આપણાં ગુરુ છે . બધા પાસેથી કઈક ને કઈક શીખવા મળ્યું જ હોય છે પછી ચાહે એ સારું હોય કે નરસું ….કામનું હોય કે નકામું ..!!! ગુરુ એ મૂળ શબ્દ ગુ+રુ એ બે શબ્દોથી મળેલો છે. જેમાં ગુ અર્થાત અંધકાર અને રુ અર્થાત જે પ્રકાશનું કિરણ લાવે છે તે. આખા શબ્દનો અર્થ જે અંધકાર હટાવીને પ્રકાશની કિરણ લાવે છે તે ગુરુ છે. અને ગુરુ જે અનાયાસે કે જીવન વ્યવસ્થાના રૂપે મળ્યા હોય છે એના સિવાય આપણી આસપાસના વાતાવરણમાં રહેતા લોકો , એમાં બનતી ઘટનાઓ , વ્યવહારો વગેરે વગેરે પણ આપણને કઈક ને કઈક શીખવાડી જાય છે એટ્લે પરોક્ષ રીતે તો એ પણ ગુરુ જ થયા .
આજકાલ તો ઇન્ટરનેટ પણ એક ગુરુ જ છે . સારું – નરસું બધુ જ શીખવાડે છે અને એમાથી શું શીખવું એ તમારી બુધ્ધિમત્તા પર છૂટે છે . હા ચોકકસથી આજકાલ ગુરુ બનવું અને શિષ્ય બનાવવા એ ઘણી જગ્યાએ પાખંડ – પ્રચાર અને પૈસાનો ધંધો ચોક્કસ થઈ ગયો છે . ગુરુઓના કારનામાઓ પછી ચાહે એ શિક્ષણ ક્ષેત્રે હોય , ધાર્મિક ક્ષેત્રે હોય કે બીજા કોઈ ક્ષેત્રે હોય બહાર આવે ત્યારે ખિન્નતા અનુભવાય પણ સાથે સાથે એ પણ ના ભૂલવું કે આજે પણ ગુરુ-શિષ્યની પરંપરાને જુદા જુદા માધ્યમથી અને જુદા જુદા ક્ષેત્રોમાં જીવંત રાખતા અને આગળ વધારતા અનેકો ગુરુઓ આ દેશમાં છે . એમાં શિક્ષણ – આરોગ્ય– ધર્મ જેવા બધા જ સામાજિક ક્ષેત્રો આવી જાય છે . શ્રેષ્ટ શિક્ષણ આપનાર ગુરુને શિષ્યની સફળતામા કોઈ આર્થિક લાભ ભલે ના થવાનો હોય છતાં પણ એ નિષ્ઠા અને સમતાથી દરેકને સરખી અને શ્રેષ્ઠ શિક્ષા આપવાની કોશીશો કરતાં જ રહે છે . ગુરુનું મહત્વ કદાચ એમ માનીને ના સમજાય કે મને મળેલું બધુ મારી બુધ્ધિ – મહેનતનુ ફળ છે પણ એટલું યાદ રહે કે એ બુધ્ધિ-મહેનતના વિકાસમાં પહેલા ગુરુ મા-બાપ થી લઈને શિક્ષક જેવા અનેકો ગુરુઓની શિષ્યભાવના સામેલ છે . ગુરુપૂર્ણિમા એક દિવસ માટે નહીં પણ જ્યારે પણ શક્ય બને ત્યારે તમારા ગુરુને આદર ,સન્માન અને એમણે આપણને જે અમૂલ્ય જ્ઞાન આપ્યું છે એનું જ્યારે પણ અને જેટલું પણ શક્ય બને એટલું કોઈ ને કોઈ રીતે વળતર ચૂકવવાનો દિવસ હોવો જોઈએ .
Image : I am gujarat
– અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કૉલમ ” રઝળપાટ ” 5 જુલાઇ 2020 )