જળ એ જ જીવન છે .. પણ સમજો તો ……..!!!!!!!
કર્ણાટકના સી. એમ. સિદ્ધારમૈયાએ કહેવું પડ્યું કે બેંગલોર રોજના ૫૦૦ મિલિયન લિટર પાણીની ઘટ ભોગવી રહ્યું છે જે શહેરના દૈનિક જળપુરવઠાનો આમ તો માત્ર પાંચમો ભાગ જ છે છતાં પણ તમે સમાચારો જોયા હશે કે આ પાંચમા ભાગની તંગી પણ બેંગલોરમાં કેવું જળસંકટ લાવી છે . પાણીની તંગીનો સામનો કરી રહેલા લોકોના પાણી બચાવવા કરતાં પાણી ક્યાંથી મેળવવું એના પ્રયાસો કરતાં અહેવાલો અને દ્રશ્યો જોઈને મને ને તમને એક જ બીક લાગી હશે કે કાલ સવારે ના કરે નારાયણ ને આપણે પણ આ જ સ્થિતિમાં ફસાઈ જઈએ તો શું થાય ? યસ યસ .. પાણી વગરના જગતની કલ્પના જ રૂવાડા ઊભા કરી દેવા માટે કાફી છે પણ એટલી જ ભયાનક કલ્પના થઈ શકે ઓછું પાણી મળવા અંગેની . જી હા , ‘ પાણી બચાવો ‘..’ પાણી બચાવો ‘ ના નારાઓ બહુ ગજવીએ છીએ પણ ખરેખર આપણે કેટલું પાણી બચાવીએ છીએ એ તો મારો ને તમારો આતમરામ જાણે ..? પાણીની તંગીના અગાઉના લેખમાં લખેલું કે ૨૦૨૫ સુધીમાં વિશ્વના ઘણા દેશો પાણીની અભૂતપૂર્વ તંગી ભોગવતા હશે અને ભારતમાં તો પરિસ્થિતિ વધુ ગંભીર એટલા માટે થવાની કેમકે વિશ્વની ૧૮% જેટલી વસ્તી ધરાવતા હિન્દુસ્તાનમાં પીવાના પાણીના સોર્સ માત્ર ને માત્ર ૪% જ છે . !!!
વાત ૨૦૨૫ની થઈ રહી છે પણ ૨૦૨૪ની શરૂઆતમાં બેંગલોર જેવા ભયાનક દ્રશ્યો જોવાના દિવસો આવી ગયા છે . આ વાંચતાં હશો એના બે દિવસ પહેલા ૨૨ માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવાઇ ગયો . આમ તો પૃથ્વીનો લગભગ ૩/૪ ભાગ પાણી જ પાણી છે પણ એમાંથી પીવાલાયક તો માત્ર ૧% કે એનાથી પણ ઓછું છે અને સામે એને વાપરનાર વસ્તી કુદકે ને ભૂસકે વધી રહી છે . વસ્તીવધારો એ આમ પણ બધી રીતની વિકરાળ સમસ્યા તો છે જ પણ પાણીની બાબતમાં એવું છે કે એ જીવન જરૂરિયાતની અને સાવ ફરજિયાત કહી શકાય એવી વસ્તુ છે . વસ્તીવધારાની સામે વોટર રિસોર્સિસ એટલા વધ્યા નથી . ઊલટાનું જે છે એના પણ આપણે બેદરકારીને લીધે અને બેફામ બગાડને લીધે ઓલમોસ્ટ તળિયા લાવી દેવાની શરૂઆત કરી દીધી છે . આવનારી પેઢી માટે જળ બચાવો ના બણગાં ફૂંકવા તો પછીની વાત છે પહેલા આપણી પેઢી માટે તો જળ બચાવી જાણો . એ કરશો તો આગલી પેઢીઓ બે ટીપાં પાણી પામશે .
સેન્ટ્રલ વોટર કમિશનના આંકડા કહે છે કે દેશના જળાશયોમાં ફેબ્રુઆરી સુધીમાં સંગ્રહ થયેલા પાણીનો જથ્થો ૪૭% થઈ ગયો છે જે ગયા વર્ષે આ જ સમયગાળામાં લગભગ ૮૦% જેવો હતો . મતલબ કે પાણીનો વપરાશ કે બગાડ ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે . એક તૃતીયાંશ કરતાં વધુ જળાશયોમાં તેમની ક્ષમતાના 40 ટકા કરતાં ઓછું પાણી છે. દેશના 150 મોટા જળાશયો તેમની ક્ષમતા કરતા લગભગ 50 ટકા ઓછા ભરાયા છે અને એમાં પણ દક્ષિણના રાજ્યોની સંખ્યા વધુ છે . બેંગલોરના જળસંકટના અનેકો કારણોમાં એક કારણ આ ઓછો વરસાદ પણ છે જ . જો કે એ સિવાય પણ બીજા કારણો જેવા કે પથરાળ જમીન અને પાણીનો બગાડ પણ છે જ . નિષ્ણાતોની માનીએ તો ૧૯૫૧માં જ્યાં દરેક વ્યક્તિને પ્રતિવર્ષ સરેરાશ ૫૧૭૭ ધનમીટર , ૨૦૦૧માં ૧૮૨૦ ઘનમિટર પાણી મળતું હતું ત્યાં ૨૦૨૫માં દરેક વ્યક્તિને પ્રતિવર્ષ માત્ર ૧૩૪૧ ઘનમીટર પાણી જ મળશે જ્યારે ૨૦૫૦ની આસપાસ આ આંકડો ૧૧૪૦ ઘનમીટર થઈ જવાનો . આ ઘનમીટરની માયજાળમાં જો ખબર ના પડે તો પણ એટલું તો સમજાઈ જ જશે કે વર્ષ દર વર્ષ ઓછું પાણી જ વાપરવા મળવાનું છે એટલે ‘ જળ એ જ જીવન છે ‘ કે ‘ પાણી બચાવો , પાણી તમને બચાવશે ‘ એવા સૂત્રો પોકારવાને બદલે ખરેખર પાણી બચાવવાની તાતી જરૂરિયાત છે જ .
ભારત કૃષિપ્રધાન દેશ છે એટલે સ્વાભાવિક છે કે પાણીના સંગ્રહનો મોટો હિસ્સો ખેતીવાડીમાં વપરાઇ જાય છે . ઉનાળો આવતા પાક બચાવવા માટે પાણી છોડવું એ જરૂરિયાત તો છે જ પણ એ કૃષિપ્રધાન દેશ માટે અગત્યનું પણ છે જ . રહી વાત ઘરવપરાશના પાણીની . અસલી પેચ અહી જ ફસાયેલો છે . ડાયનાસોરના જમાનામાં જે વોટર રિસોર્સિસ હતા લગભગ લગભગ એ અને એટલા જ રિસોર્સિસ આજે પણ છે . સામે વાપરનારાઓ વધ્યા છે અને એનાથી પણ અગત્યની અને ગંભીર વાત કે પાણીનો સંગ્રહ કરવાના પ્રયત્નો ઘણા થઈ રહ્યા છે પણ હજુ એ બધા પૂરતા નથી જ . અને સૌથી ગંભીર અને અગત્યની વાત કે પાણી બચાવો એવા નારા બોલવા અને એનો અમલ કરવો એ બંને બાબતમાં વી ધ પીપલ હજુ જોઈએ એટલા જાગૃત થયા જ નથી . સરકારી આંકડાઓ કહે છે કે આ વર્ષે સંગ્રહ કરેલ જળનું સ્તર આગલા વર્ષોની સરખામણીમાં પાંચ ગણું નીચે કે ઓછું છે . પાણીની તંગી થાય ને સફાળા ડોલચા અને ડોલો લઈને આમતેમ દોડવા મંડીએ એવી માનસિકતા છોડવી પડશે . ‘ આપણાં એક ના પાણી બચાવવાથી શું થશે ? ‘ આવી માનસિકતા પણ છોડવી પડશે . પાણીનો બગાડ કોઈ સમૂહ નહીં પણ એક પછી એક લોકો અટકાવશે તો જ પાણીના વધ્યા ઘટયા રિસોર્સિસ સલામત રહેશે અને આવનારી પેઢીઓને એનો લાભ મળશે.
આપણો પાણીનો સોર્સ મોટાભાગે વરસાના પાણી પર આધારિત છે હવે ક્લાયમેટ ચેન્જના જમાનામાં વરસાદ ક્યારે વધુ અને ક્યારે ઓછો આવે એ કહી શકાતું છે જ નહીં એવામાં જે પણ પાણી ઉપલબ્ધ થાય એનો વ્યવસ્થિત સંગ્રહ કરવું જેટલું અગત્યનું છે એટલું જ અગત્યનું છે એ પાણીનો બગાડ કર્યા વગર ઉપયોગ થાય . પાણીની તંગી માટે જે તે સરકારને દોષ દેવો વાજબી છે કેમકે પ્રજાને એટલીસ્ટ પીવાનું પાણી બરાબર મળી રહે એ વ્યવસ્થા કરવાનું કામ સરકારનું જ છે પણ સાથે સાથે આપણે પણ મળતા પાણીનો બગાડ અટકાવવાની જવાબદારી સ્વીકારવી પડશે . અમથે અમથા વાહનો ધોવા કે પાલતું કુતરા નવડાવવા કે કોઈ જ કારણ વગર શેરીઓને – ધાબાઓને અમસ્તા જ ધોઈ કાઢવામાં વપરાતા ( ઇન્ફેકટ વેડફાતા ) પાણીના ટીપે ટીપાનો બચાવ કરવો જરૂરી છે . પાણી હોય ત્યારે એય ને બિન્દાસ જલસા કરો અને ના હોય ત્યારે કોર્પોરેશનની ઓફિસમાં જઈને માટલાં ફોડો કે સરકારના નામે કકળાટ કરો એવું ના કરવું પડે એ માટે પણ પાણીનો ખોટો બગાડ અટકાવવો જોઈએ . જરૂર ના હોય તો નળને બંધ કરતા શીખવું પડશે – પછી ભલેને હજુ પાણી બંધ થવામાં વાર હોય તો પણ ..!! તળાવો – નહેરો – ડેમો કે પછી ઘરેલુ પાઈપલાઈનોમાંથી પાણીની ચોરી કરતા લોકો પર આકરી અને કડક કાર્યવાહી થવી જોઈએ તો શહેરો કે ગામડાઓમાં પાણીનો બગાડ કરનારાઓ પર કાનૂની કાર્યવાહી કરવી જોઈએ પછી ચાહે એ કોઈ પણ હોય …!! પાણીના મીટર આવતીકાલની નહીં પણ આજની જરૂરિયાત છે અને એને વહેલી તકે બધે જ ફરજિયાત કરવા જોઈએ જ . પાણીની તંગીથી ખાલી જીવનજરૂરિયાત પર નહીં પણ વીજળીના ઉત્પાદન પર પણ અસર પડે છે એ ના ભુલાવું જોઈએ . વીજળીની સાથે સાથે પાણી વ્યક્તિગત સ્વચ્છતતા માટે પણ જરૂરી છે . પાણીની તંગીને લીધે સ્વચ્છતાના અભાવે દેશમાં લાખો લોકો દર વર્ષે જીવ ગુમાવે છે . ફ્લેટોના જમાનામાં પાણી સંગ્રહ કરો કે ટાંકા ભરો કે વરસાદી પાણીનો સંગ્રહ કરો એ તો હવે મુશ્કેલ થતું જાય છે એવામાં એક જ વિકલ્પ બચે છે કે જે પણ પાણીનો સંગ્રહ છે અને જે કાઇપણ પાણીના સ્ત્રોત્ર છે એનો ડહાપણપૂર્વક ઉપયોગ કરીએ . ઘરવપરાશમાં તો જરૂરી છે જ પણ સાથે સાથે ખેતીમાં પાણીના ઓછા વપરાશની પધ્ધતિઓ વાપરીએ . વરુણદેવતા રીઝે ત્યારે કે રૂઠે ત્યારે પાણીના હાથવગા જથ્થાને બરાબર વાપરી જાણીએ એ જરૂરી બની ગયું છે . હવે આ બાબતે જાગૃત થવા માટેનો કોઈ સમય બાકી નથી રહ્યો . આજે બેગલોર છે તો કાલે તમારું શહેર કે ગામ પણ હોય શકે છે એટલે નિષ્ણાતો કહે છે એમ આગામી વિશ્વયુધ્ધ પાણી માટે થાય એ પહેલા જાગીએ તો સારું ..!!! (akurjt@gmail.com )
- અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર કૉલમ ” રઝળપાટ ” ૨૪ માર્ચ ૨૪ )
- image : India Today